પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૭
અભયા


 “માતા દેહના સૌંદર્યના અભિમાનને લીધે તમે પતિત જીવન ગાળ્યું છે, પણ જરા એ દેહને પગથી માથા સુધી નિહાળીને વિચાર તો કરી જુઓ ! શિરના કેશથી તે પગનાં તળિયાં સુધી એ આખું શરીર દુર્ગંધથી ભરેલું નથી ? એમાં લોહી, માંસ વગેરે સૂગ ચડે એવા પદાર્થ સિવાય બીજું શું છે ?” એના ઉત્તરમાં માતાએ પુત્રને ખાતરી આપી હતી કે, “પુત્ર ! તારૂં કથન સત્ય છે. આજથી મારી બધી દુર્વાસનાઓને મેં જડમૂળથી ઉખેડી નાખી છે. હવે હું શાંત અને નિવૃત્તિપરાયણ થઈ છું.”

४३–अभया

જ્જૈન શહેરમાં એક કુલીન ગૃહસ્થને ઘેર તેનો જન્મ થયો હતો. આગલા ચરિત્રમાં વર્ણવેલી પદ્માવતી (અભયમાતા) તેની બાલ્યાવસ્થાની સખી હતી. અભયમાતાએ જ્યારે સંસારનો ત્યાગ કરીને થેરીપદ ગ્રહણ કર્યું ત્યારે અભયાએ પણ તેનું અનુસરણ કર્યું હતું. એ પણ થેરી બનીને સખીની સાથે રાજગૃહ નગરીમાં સાધ્વીઓના મઠમાં વસતી હતી. સ્મશાનમાં જઈને હાડકાંઓ અને ખોપરીએના સામું એકાગ્રચિત્તે જોઈને એ દેહની અને સાંસારિક સુખવૈભવની નશ્વરતા પોતાના હૃદયમાં ઠસાવતી હતી. એણે ગાથામાં પોતાને સંબોધીને કહ્યું છે કે, “હે અભયા ! આ દેહ કે જેને પૃથ્વીના લોકો સુખનો ભંડાર અને સારરૂપ ગણે છે તે ક્ષણભંગુર છે. એ દેહને ફેંકી દઈને હું સ્થિર, નિત્ય અને સારરૂપ જે પદાર્થ છે તેને પ્રાપ્ત કરીશ. બુદ્ધદેવના શાસનથી હું દુઃખના મૂળનો નાશ કરીશ અને તૃષ્ણાનો ક્ષય થવાથી જગતનાં બધાં દુઃખ અને ત્રાસનો નાશ થશે.”

આ રીતે આત્મચિંત્વનથી તેણે અર્હત્‌પદ પ્રાપ્ત કર્યું હતું.