६०–सकुला
ગૌતમબુદ્ધના સમયમાં શ્રાવસ્તી નગરીમાં એક બ્રાહ્મણને ઘેર એણે જન્મ ધારણ કર્યો હતો. થેરી ગાથામાં એનું નામ પકુલા પણ લખેલું છે. એની સાંસારિક સ્થિતિ ઘણી સારી હતી. કઈ વાતનું દુઃખ તેને નહોતું. બુદ્ધદેવ અનાથાપિંડદના જેતવનના વિહારનો સ્વીકાર કર્યો, તે સમયે સકુલાને એમનાં પુણ્ય દર્શન થયાં. એના હૃદયમાં બુદ્ધદેવ પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થઈ. બૌદ્ધધર્મમાં પણ શ્રદ્ધાનું ઘણું મહત્ત્વ ગાયું છે. ધર્મના ઉપદેશની તેના અંતઃકરણ ઉપર સારી અસર થઈ. સંસારનાં બધાં સુખ તેને મનથી તુચ્છ લાગવા લાગ્યાં. પારલૌકિક સુખને શોધવા તે નીકળી પડી અને બુદ્ધદેવના ભિક્ષુણીસંઘના સમાગમમાં આવી. ત્યાં એને શાંતિ મળી. સંસાર ત્યજી ભિક્ષુણી બની. ત્યાં રહ્યાથી એના મનમાં ઉલ્લાસ આવ્યો, કર્તવ્યભાવના સતેજ થઈ, ભિક્ષુકોના પરમ નૈતિક જીવનથી અંતરવૃત્તિઓ શુદ્ધ થઈ. એમ કર્યાથી એ થોડા સમયમાં અર્હંત્પદને પામી. ત્યાર પછી એની ઈચ્છા દિવ્યદૃષ્ટિ પામવાની થઈ. બૌદ્ધધર્મમાં પણ યોગને માન્યો છે અને એ યોગના બળ વડે મનુષ્યોને જુદા જુદા પ્રકારની ઋદ્ધિ મળે છે, એવું તેઓ માને છે. એ અદ્ધિને ‘અભિજ્ઞા’ કહે છે. અભિજ્ઞા છ પ્રકારની છે. એમાંની એક અભિજ્ઞાનું નામ દિવ્યદૃષ્ટિ અથવા દિવ્ય ચક્ષુપ્રાપ્તિ છે. એ સિદ્ધિ પ્રાપ્ત થયાથી યોગ સંબંધી વિચાર કરવાને માટે મનુષ્યની દૃષ્ટિ ચર્મચક્ષુ કરતાં વધારે સૂક્ષ્મ થઈ જાય છે. એ દૃષ્ટિને લીધે તેને ક્યાંય રોકાવું પડતું નથી. એ શક્તિ વડે મરણ પછી મનુષ્યની કેવી ગતિ થઈ છે તે પણ યોગી જાણી શકે છે. મહાત્મા ગૌતમબુદ્ધે પોતે એ શક્તિનો ઉપયોગ ઘણી વાર કર્યો હતો અને એ અભિજ્ઞા પ્રાપ્ત કરવાનું ભિક્ષુણીઓને પણ શીખવ્યું હતું.