પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


६९–गुप्ता

નો જન્મ શ્રાવસ્તી નગરીમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. કુમારી અવસ્થામાંજ તેણે માતપિતાની સંમતિથી સંસારત્યાગ કરીને થેરીવ્રત અંગીકાર કર્યું હતું.

યુવાવસ્થાના પ્રભાવને લીધે એકદમ તેનું મન સંયમમાં આવ્યું નહિ. સંસારના ભોગવૈભવ જોઈને તેનું ચિત્ત એ તરફ આકર્ષાતું. એ સમયે બુદ્ધ ભગવાને તેને દર્શન આપીને કહ્યું કે, “હે ગુપ્તે ! પુત્રપુત્રી વગેરેના સુખની આશાનો ત્યાગ કરીને કુમારી દશામાંજ તે સંન્યસ્ત ગ્રહણ કર્યું છે. પરમ તત્ત્વ પ્રાપ્ત કરવાને સારૂ હવે તારે સાધના કરવી જોઈએ અને ચિત્તને વશ રાખવું જોઈએ. મનુષ્યોના પ્રલોભનમાં ફસાઈ પડ્યાથી તારે સેંકડો વખત જન્મમરણના ફેરામાં પડવું પડશે; માટે કામનો નાશ કરીને, આત્મા ઉપર વિજય મેળવીને સદાચરણપૂર્વક ચાલ. જીવનનાં અસાર કર્મોનો ત્યાગ કરીને દુઃખ ઉપર વિજય મેળવ, હે ભિક્ષુણિ! સંસારની આસક્તિનાં બધાં બંધનોને તોડી નાખ. રાગ, દ્વેષ, માન, અપમાન, અવિદ્યા અને ઉદ્ધતાઈનો ચિત્તમાંથી સમૂળગો નાશ ક૨; એટલે દુઃખ તને પીડા આપી શકશે નહિ. જીવનનું રહષ્ય જાણીને તું પુનર્જન્મની ઉપાધિમાંથી મુક્ત થા.”

બુદ્ધ ભગવાનના આ સુમધુર ઉપદેશની તેના ઉપર ધણી પ્રબળ અસર થઈ. તરતજ તેણે અર્હત્‌પદ પ્રાપ્ત કર્યું.

થેરીગાથામાં ૧૬૩ થી ૧૬૮ સુધીના શ્લોક તેના રચેલા છે.