પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



ઉત્પન્ન થયા હતા. એમના વખતમાં આર્યોનો વૈદિક ધર્મ વિકાર પામી ચૂક્યો હતો. સાપ ગયા અને લિસોટા રહ્યા એ પ્રમાણે વેદ અને ઉપનિષદ્‌ના ઉત્તમ ગહન સિદ્ધાંતો સમજનારા અને તે પ્રમાણે વર્તનારા તો થોડા રહ્યા હતા અને કર્મકાંડ, ખોટા વાદવિવાદ અને જીવહિંસા આદિ વખોડવા લાયક કામ કરનારા ઘણા લોકો રહી ગયા હતા.

જેને ખરો બોધ થયેલ હોય, જે મોહનિદ્રામાંથી જાગ્યા હોય તેને બુદ્ધ કહે છે. બુદ્ધદેવનો ઉપદેશ એ હતો કે કેવળ વૈદિક યજ્ઞયાગ કર્યાથી ધર્મ સધાતો નથી, પવિત્ર જીવન ગાળવું, સારા વિચારો રાખવા, એજ ખરો ધર્મ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બધા બરાબર રીતે એ ઉચ્ચ ધર્મના અધિકારી છે. યજ્ઞમાં પશુનું બલિદાન આપવું અથવા અન્ય કોઈ પ્રકારે જીવની હિંસા કરવી એ મહાપાપ છે. બ્રાહ્મણશૂદ્રનો ભેદ ભૂલી જઈને સર્વ પ્રકારની જીવહિંસાનો ત્યાગ કરીને, બધાએ ભોગવિલાસહીન પવિત્ર જીવન ગાળવું અને જગતનું કલ્યાણ કરવું. આ પ્રમાણે જીવન ગાળવાથી ધીમે ધીમે મનુષ્યનો આત્મા બધા પ્રકારના મોહ અને પાપવાસનામાંથી છૂટી જઈને નિર્વાણ મેળવશે.

બૌદ્ધધર્મના મહામંત્રમાં ત્રણ વિષય બતાવેલા છે.

‘बुद्धं शरणं गच्छामि – હું બુદ્ધને શરણ જાઉં છું.’
‘धर्मं शरणं गच्छामि – હું ધર્મને શરણ જાઉં છું.’
‘संघं शरणं गच्छामि – હું સંઘને શરણ જાઉં છું.’

ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ એ હતો કે આ સંસારમાં દરેક વસ્તુ ક્ષણભંગુર અને દુઃખના કારણરૂપ છે.

સંસારના એ દુઃખનો ઇલાજ શો ? ઇલાજ કરતાં પહેલાં રોગનું કારણ શોધવું જોઈએ. તૃષ્ણા—સુખ ભોગવવાની રાતદિવસ લાલસામાંથી દુઃખ ઊપજે છે, માટે આત્મવાદ ત્યજી અનાત્મવાદ ગ્રહણ કરવો; એટલે કે હુંપદ છોડી દેવું.

“તૃષ્ણા અને તૃષ્ણામાંથી ઊપજતા ‘ઉપાદાન’ (વિષય– ગ્રહણ)નો નાશ થાય, એટલે પુનર્જન્મ અને પુનર્જન્મ સાથે જોડાયલાં જરા (વૃદ્ધાવસ્થા) અને મરણ વગેરેનાં દુઃખો શમી જાય. આ દુઃખરહિત સ્થિતિ તે નિર્વાણ. ‘નિર્વાણ’ એટલે બુઝાઈ