८५–सुमेघा
મસ્તાવતી નગરીમાં કૌંચ રાજની પટરાણીના ગર્ભમાં તેનો જન્મ થયો હતો. સુમેધા બાલ્યાવસ્થાથીજ બુદ્ધિમતી અને સારાં કાર્યોમાં મતિ રાખનારી હતી. શ્રમણ ધર્મની વિધિઓ એ બાળા યત્નપૂર્વક પાળતી. અતિશીલવતી, અનેક શાસ્ત્રોમાં પ્રવીણ, સરસ વ્યાખ્યાન આપનારી અને ધર્મમાં નિમગ્ન રહેનારી કન્યા હતી, એવી સુશીલ અને વિદુષી કન્યાને રાજા અનિકર્તની સાથે પરણાવવાની તેના માતાપિતાની ઈચ્છા હતી. અનિકર્ત રાજા પણ તેના ઉપર પ્રેમમુગ્ધ હતો; પરંતુ સુમેધાને તો નાનપણથી જ પોતાની સખીઓ સહિત ભિક્ષુણીઓના મઠમાં જવાનો શોખ હતો. સત્સમાગમને લીધે તેનું જીવન ધાર્મિક બન્યું હતું, એટલે તેની ઈચ્છા ગ્ર્હસ્થાશ્રમની મોહજાળમાં પડવાની નહોતી. એક દિવસ તેણે નમ્રતાપૂર્વક માતપિતાને જણાવ્યું કે, આપ કૃપા કરીને મારી વિનતિ સાંભળો. મારી ઇચ્છા નિર્વાણ પ્રાપ્ત કરવાની છે. હું આ જગત અને પરલોકને અનિત્ય ગણું છું. આ શરીરનાં બધાં સુખ તુચ્છ છે. ભોગવિલાસથી સુખ તો ઘણું થોડું મળે છે અને અસંતોષ તથા દુઃખ ઘણું પ્રાપ્ત થાય છે. કડવા ઝેર જેવા કામભોગ ઉપર જે લોકો મોહિત થાય છે, તે લોકો મૂઢ હોય છે. એ લોકો અધોગતિમાંજ પોતાનું જીવન વ્યતીત કરે છે. એ મૂર્ખાઓને મન, વચન અને કર્મને સંયમમાં રાખતાં આવડતું નથી. એ પ્રજ્ઞાહીન લોકોને ખબર નથી કે, દુઃખ શાથી અટકાવી શકાય છે; એટલુંજ નહિ પણ જ્યારે તેમને મોહનિદ્રામાંથી જગાડવા પ્રયત્ન કરવામાં આવે છે, ત્યારે પણ તેઓ જાગતા નથી અને શીખવ્યા છતાં પણ તેઓ શીખતા નથી. ચાર આર્ય સત્યોનું ભાન એમને કદી થતું નથી. પૂજ્ય બુદ્ધદેવે જે સત્યો આપણને શીખવ્યાં છે, તેને