પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧
ગોપા (યશોધરા)



સવાર થતાં આ સમાચાર સઘળે ફેલાઈ ગયા રાજમહેલ અને નગરવાસીઓ રડારોળ કરવા લાગ્યા. સ્વામીના વિચારોમાં થતું પરિવર્તન ગોપાએ ઘણા સમયથી જોયું હતું. પોતાને આવેલાં સ્વપ્નાં ઉપરથી ભવિષ્યનું અનુમાન કર્યું હતું. એ સમજી ગઈ કે સ્વામી ગૃહસંસાર ત્યાગી સંન્યાસી બન્યા. એ તો હવે જગતનો ઉદ્ધાર કરશે; પણ હું શું કરું ? એક તો સ્ત્રીની જાત હતી, બીજું બાળકપુત્ર ખોળામાં હતો, ઘરનો ત્યાગ કરીને ચાલ્યા જવું તેને માટે સંભવિત નહોતું. એ ઘરમાં રહીનેજ સંન્યાસિની થઈ.

રાજવધૂનો વેશ કાઢી નાખીને ગોપાએ સંન્યાસિનીનો વેશ ધારણ કર્યો. રાજમહેલમાં કુળવધૂના બધા ભોગવિલાસનો બિલકુલ ત્યાગ કરીને એણે કઠોર બ્રહ્મચર્યવ્રત ધારણ કર્યું.

સસરાએ ઘણું સમજાવી. સાસુએ ઘણું રુદન કર્યું પણ ગોપાનું મન ચળ્યું નહિ. એણે સંન્યાસિનીનો સાદો વેશ તથા કઠોર વ્રત છોડ્યાં નહિ.

સાસુજીને બોલાવીને ગોપાએ કહ્યું: “મા ! તમે ધર્મશીલ હોવા છતાં મને અધર્મમાં શા માટે દેરવા માગો છો ? જેના સ્વામી સંન્યાસી થયા તે સ્ત્રીને વસ્ત્રાભૂષણ, ભોગવિલાસનું શું પ્રયોજન ? સ્વામીજ નારીનું સર્વસ્વ છે; સ્વામી એજ તેનું સુખ, તેનો ભોગવિલાસ અને તેનાં આભૂષણ છે. સ્વામીજી જ્યારે ઘરબાર છોડીને સંન્યાસી થઈ ગયા, તો તેમની સાથે મારૂં બધું સુખ પણ ડૂબી ગયું. ગૃહસ્થાશ્રમનું સુખ જતું રહ્યું, ભોગવિલાસ જતા રહ્યા. વસ્ત્રાભૂષણના આડંબર કરવાનું હવે પ્રયોજન રહ્યું નથી. હવે તો મારો ધર્મજ જાણે બદલાઈ ગયો છે.

“સ્વામી જ્યારે રાજપુત્ર હતા ત્યારે હું રાજવધૂ તરીકે તેમની સંગી અને સહધર્મિણી હતી. આજ એ સંન્યાસી થયા તો હું સંન્યાસિની થઈશ. સ્ત્રીનું જીવનવ્રત એજ છે કે સ્વામીની અનુગામિની થવું. એ વ્રત મે આરંભ્યું છે. તો માજી ! કૃપા કરીને મને એમ કરતાં રોકશો નહિ. વળી મા ! તમારો એકનો એક પુત્ર આજે સંન્યાસી થઈ અરણ્યમાં કથોર તપશ્ચર્યા કરે છે એ તમારાથી સહેવાય છે, તો ઘરમાં બેસીને વહું સંન્યાસિનીનો વેશ ધારણ કરીને, સંન્યાસિનીવ્રત પાળે છે એ શા માટે સહન નથી થતું ?”

ગૌતમીદેવી પુત્રવધૂનો જવાબ સાંભળીને ચૂપ રહી.એ સિદ્ધાર્થની