પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭
૩૭
ગોપા (યશોધરા)



સ્ત્રીપુરુષોમાં ફેલાઈ ગયો. તેનો કાંઈક યશ આ આર્યનારીની પરમ સાધનાને પણ ઘટે છે. ભિક્ષુણી સંપ્રદાયની આગેવાન તરીકે અનેક રમણીઓને સેવા અને પરોપકારના વ્રતમાં પ્રેરીને ગોપાએ જગતને મોટો લાભ પહોંચાડ્યો હતો.

યશોધરાના શરીરનો રંગ કાંચન સમે હોવાથી બૌદ્ધધર્મના ગ્રંથોમાં પણ ભદ્રા કાંચના નામથીજ તેને સંબોધવામાં આવ્યાં છે.

સંઘમાં દાખલ થયા પછી આત્મોન્નતિ ઉપરજ તેણે પોતાનું સઘળું લક્ષ્ય પરોવ્યું હતું. ભિક્ષુણીસંઘના નિયમોનું પાલન તેણે બીજી ભિક્ષુણીઓની પેઠેજ પૂર્ણ કાળજીપૂર્વક કર્યું હતું. ત્યાં એણે અર્હત્‌ પદ પ્રાપ્ત કર્યું અને અભિજ્ઞાઓમાં પ્રવીણતા મેળવી. એક દિવસ ધ્યાનમાં બેઠી હતી, ત્યાં એને એકદમ પૂર્વકાળના હજારો જન્મનું સ્મરણ થઈ આવ્યું અને તેનો એ ગુણ વિશેષ પ્રસિદ્ધ થયો.

બુદ્ધ ભગવાન ભિક્ષુણીસંઘમાં પદવિદાનના સમારંભમાં મહાભિજ્ઞા પ્રાપ્ત કરનાર ભિક્ષુઓમાં યશોરાને અગ્રસ્થાન આપ્યું, મહાભિજ્ઞા પ્રાપ્ત કરનાર ભિક્ષુઓ તો થઇ ગયા છે; પરંતુ સ્ત્રીઓમાં એ સિદ્ધિ પ્રાપ્ત કરનારી એકલી યશોધરાજ હતી. દિવ્ય શક્તિને અભિજ્ઞા કહે છે. જાતજાતના ચમત્કાર કરવા, દિવ્યનાદ શ્રવણ કરવો, બીજાઓના મનની વાત પારખવી, પૂર્વજન્મનું સ્મરણ થવું, દિવ્ય ચક્ષુ આવવાં અને વિકારોનો ક્ષય થવો એને અભિજ્ઞા કહે છે. મહાભિજ્ઞા એનાથી પણ ઉપરનો દરજ્જો છે. એ પ્રાપ્ત કર્યાથી અસંખ્ય પૂર્વજન્મનું જ્ઞાન થાય છે.

અભ્યાસથી યોગી એ શક્તિઓ પોતાની મેળેજ પ્રાપ્ત કરી શકે છે એવો બુદ્ધદેવનો અભિપ્રાય હતો; પણ એનેજ એકમાત્ર ધ્યેય ન સમજી લેવું જોઈએ અને એના પ્રત્યે આસક્તિ ન રાખવી જોઇએ એવો એમનો ઉપદેશ હતો.