६–किसागोतमी
મહાપ્રજાપતિ ગૌતમી તથા બીજી ગોતમીઓથી જુદી પાડવા સારૂ એને કિસા અથવા કૃશા ગોતમી નામથી ઓળખવામાં આવે છે. કૃશા એટલા માટે કહી છે કે એ કૃશાંગી સુકુમાર દેહવાળી હતી. એમ કહેવાય છે કે, પૂર્વજન્મમાં પદુમુત્તર બુદ્ધના સમયમાં એક ક્ષત્રિય સામંતના વંશમાં એનો જન્મ થયો હતો. ભગવાનને મુખેથી એક સમયે સાદાં વસ્ત્રધારી સંસારત્યાગી ભિક્ષુણીઓની ઘણી પ્રશંસા થતી સાંભળીને એણે મનમાં સંકલ્પ કર્યો હતો કે, “હું પણ કોઈ દિવસ એ ભિક્ષુણીપદ પ્રાપ્ત કરીશ.” એ જન્મમાં તો એની એ અભિલાષા પાર પડી નહિ, પરંતુ ગૌતમબુદ્ધના સમયમાં શ્રાવસ્તી નગરીના એક ગરીબ કુટુંબમાં એનો જન્મ થયો. દરિદ્ર ઘરની કન્યા હોવાથી સાસરામાં કોઈ એનો ભાવ પૂછતું નહિ. સૌ કોઈ અનાદરની દૃષ્ટિથી જોતું. આખરે એને એક પુત્ર થયો, ત્યારથી એનું માન વધ્યું, પણ ગરીબનું નસીબ ગરીબજ હોય છે. માતાનું માન વધારનાર, માતાના સુખ અને સૌભાગ્યનો એકમાત્ર આધાર એ બાળક, એક દિવસ રમવા ગયો હતો ત્યાંથી એને સર્પ કરડ્યો અને એ નિર્દોષ હસમુખું બાળક સદાને માટે માતાને દુઃખ અને અશ્રુની ભેટ ધરી કાળના પંજામાં વિલીન થઈ ગયું. બિચારી ગોતમીના સુખનો સૂર્ય અસ્ત થઈ ગયો. એને ખાતરી થઈ કે આ સંસાર ફરી મને દુઃખ દેશે. પુત્રના મરણથી એના શોકનો પાર રહ્યો નહિ. મૃત બાળકને ખોળામાં લઈને મૃતસંજીવની કોઈ ઔષધિની શોધમાં એ ઘેરેઘેર ભિક્ષા માગતી ફરવા લાગી. બુદ્ધ ભગવાન પોતાના શિષ્યો સહિત એ વખતે ધર્મપ્રચાર કરવા નીકળ્યા હતા. ગોતમીએ તેમને દીઠા; પછી શું થયું તે અમે સાક્ષરવર્ય નરસિંહરાવભાઈના પ્રાસાદિક શબ્દોમાં વર્ણવીશું:—