પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

७–सुजाता

ગ્રંથમાં અન્યત્ર જે સુજાતાનાં ચરિત્ર આપવામાં આવ્યાં છે, તેનાથી ભિન્ન આ સુજાતા છે. ગૌતમ બુદ્ધદેવના સમયમાં જ એ પણ થઈ ગઈ છે. ફલ્ગુ નદીને તીરે એનો નિવાસ હતો. સેનાની વંશના એક ધનવાન પુરુષ સાથે એનું લગ્ન થયું હતું. એ સમયમાં ગાયો મનુષ્યની સમૃદ્ધિનું મુખ્ય અંગ ગણાતું. ગૌ એ ધન હતું. સુજાતાના પતિને ઘેર પુષ્કળ ગાયો હતી. ધનવાન હોવા સાથે એ ઘણો પરોપકારી પણ હતો. સુયોગ્ય પત્નીની સાથે તેનો સમય સંસારસુખમાં વ્યતીત થતો હતો. સુજાતામાં સૌંદર્ય અને સદ્‌ગુણનો અપૂર્વ મણિકાંચનયોગ થયો હતો. કવિશ્રી નરસિંહરાવભાઈના શબ્દોમાં કહીએ તો—

નામ સુજાતા હેનું સુંદર, ચંપક કાયા રંગ,
નીલ કમલસમ લોચન શીળાં, અનુપમ છે લાવણ્ય,
એહ ભૂમિમાં સુંદર હેવી, કો નારી નવ અન્ય,
વિનયવડે એ સતની શોભતી હેત ભરીને દીન.
વેણ મધુર સહુ સંગે વદતી, દીપે વદન કુલીન;
હસતું મુખ ધરતીજ સદા એ લલના મંડલ રત્ન.
ગૃહસંસાર તણા સુખમાં નિર્ગમતી જીવન શાંત.

આ પ્રમાણે સુજાતાનો સંસાર ઘણો સુખી હતો; પણ એમાં એકજ વાતની ખોટ હતી. પતિપત્નીના સ્નેહને પવિત્ર સાંકળથી વધારે દૃઢ કરનાર પુત્રનું મુખ હજુ સુધી એણે જોયું નહોતું.

શાંત ગૃહે વસતીજ સતી એ નિજ સ્વામીની સંગ,
પ્રેમપૂર્ણ જીવન પણ ખારૂં પુત્ર વિના સુખ ભંગ.

પુત્ર વગર જીવનમાં એ દંપતિને કશું પણ સુખ જણાતું નહિ.