પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



એ વર્ષે શ્રાવસ્તી જેવા ધન અને મનુષ્યોથી પરિપૂર્ણ સમૃદ્ધિશાળી નગરના રહેવાસીઓ ઘોર દુકાળના પંજામાં સપડાયા હતા. એમને અન્નના સાંસા પડી રહ્યા હતા. ખેતરોમાં અનાજનું નામ નહોતું, દેશનાં લોકો રોગથી હાડપિંજર સમાં થઈ ગયાં હતાં.

ધનહીન અનાથ ભૂખ્યા દુકાળિયાના રુદનનો અવાજ શેઠિયાઓની હવેલીઓને ફાડીને અનંત આકાશમાં વિલીન થઈ જતો હતો. એ શેઠિયાઓ પોતાની આંખે એમનું દુઃખ જોતા, કાને એમની ચિચિયારી સાંભળતા પણ એમનાં દુઃખનું નિવારણ કરવાનો કોઈ ઉપાય એમણે કર્યો નહિ. એ વિષમ દુકાળના સમયમાં ગરીબોને મદદ આપવાને ધનિકોના હૃદયમાં જરા પણ સહાનુભૂતિ ઉત્પન્ન થઈ નહિ.

શ્રાવસ્તી નગરમાં એ વખતે લક્ષાધિપતિઓની સંખ્યા કાંઈ ઓછી નહોતી, પરંતુ એ દુકાળમાં મદદ કરતી વખતે એમાંના ઘણાખરા કંજૂસીજ દર્શાવતા. દુકાળથી પીડાતાં લોકોની વહારે ધાવું તો ક્યાં રહ્યું, એમને તો રાતદિવસ એ જ ચિંતા રહેતી કે, રખે આ લોકો મારા ઘરમાં પેસી જઈને મારી માલમતા લૂંટી ન લે. એ બીકથી ધન અને અલંકારના રક્ષણના બંદોબસ્તમાં જ એમનો બધો સમય વ્યતીત થતો હતો.

ટૂંકામાં એજ કે સૌ કોઈ એ વખતે પોતપોતાના કુટુંબનું પોષણ કરવાના વિચારમાં ગૂંથાયલા રહેતા હતા. બીજાઓનો વિચાર કોણ કરે ? હાય સંસાર ! તું આટલો સ્વાર્થી અને કુટુંબપ્રિય છે !

એ દિવસે સવારે વિહારના બારણા આગળ એક આશ્રય વગરના બાળકને મરણતોલ અવસ્થામાં પડેલો જોઈને બુદ્ધદેવના મુખ્ય શિષ્ય આનંદને ઘણું દુઃખ ઉત્પન્ન થયું હતું. એનું જીવન બચાવવા સારૂ એને ઘણી ચિંતા ઉત્પન્ન થઈ અને એ ભગવાન બુદ્ધદેવ પાસે જઈ હાથ જોડીને પૂછવા લાગ્યો “ભગવન્ ! આવા સમયમાં મરણતોલ થયેલા અન્નના અભાવે તરફડિયાં મારતા મનુષ્યોના રક્ષણ માટે ભિક્ષુસંઘે શા ઉપાયો લેવા જોઈએ ?”

બુદ્ધદેવ એનો પ્રશ્ન સાંભળીને જરા વાર વિચારમાં પડ્યા, ત્યાર પછી પોતાનું શાંત મુખ જરાક મલકાવીને ધીમે સાદે બોલ્યા: “આ વખતે તમારૂં કર્તવ્ય શું છે એ તમેજ નક્કી કરી લો.”