પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫
સુપ્રિયા



એક તેર વર્ષની બાલિકા ધીમે ધીમે ભગવાનની સામે આવીને ધીરે સ્વરે બોલી: “ભગવન્ ! હું છું. આ અધમ સેવિકા આપની આજ્ઞા પાળવા સારૂ પોતાની જિંદગી આપવાને પણ પાછી પાની કરવાની નથી.”

સભાજનો કટાક્ષપૂર્વક હસવા લાગ્યા. આનંદ સ્વામીએ ગંભીર સ્વરે બધાને શાંત રહેવા કહ્યું. ત્યાર પછી બુદ્ધદેવે એ કિશોરીની તરફ દૃષ્ટિ કરીને ધીમે સ્વરે કહ્યું: “દીકરિ ! તું તો બાળક છે. તારા પ્રયત્નથી આ વિશાળ શહેરની અન્નની ખોટ કેવી રીતે પૂરી પડશે !”

“અવશ્ય પૂરી પડશે.” બાલિકાએ તેજોગર્વિત સ્વરે કહ્યું. “ભગવાનની કૃપા હશે તો અવશ્ય આ બાલિકા નગરવાસીઓને દુકાળની પીડાથી બચાવશે.”

બાલિકા થોડી વાર સુધી સ્થિર દૃષ્ટિથી ભગવાનના સામું જોઈ રહી અને પછી બોલી: “પ્રભુ ! કહો તો ખરા કે લોકોનું દુઃખ નિવારણ કરવાને ધનવાન લોકો તરફથી કાંઈ પણ પ્રયત્ન ન થાય તો શું એને લીધે દેશનું એ કષ્ટ કદી પણ નિવારણ નહિજ થાય ? બીજા કોઈ દયા ન આણે તો શું માતા પણ પિતાનાં ભૂખ્યાં બાળકો ઉપર દયા આણતાં સંકોચ કરશે ?”

ભગવાન સ્નેહપૂર્વક બોલ્યા: “બાલિકા ! આ તો એક બાળકનું પાલન કરવાનો પ્રશ્ન નથી. કરોડો દેશવાસી સંતાનો ભૂખે ટળવળી રહ્યાં છે. એક માતાના પ્રયત્નથી એટલા બધા બાળકોની ભૂખ કેવી રીતે મટી શકે ? ”

બાલિકાએ પહેલાંના જેવાજ દૃઢ સ્વરથી કહ્યું: “જરૂર મટી શકશે !” ત્યારપછી પોતાના હાથમાંનું ભિક્ષાપાત્ર બુદ્ધદેવને બતાવીને એણે કહ્યું “પ્રભુ ! આપની દયા હશે તો મારું આ ભિક્ષાપાત્ર સદા ભરેલું જ રહેશે. જે ધનવાનો આપની આજ્ઞા પાળવાથી વિમુખ રહ્યા છે તેમના ઘરના ભંડારોમાં મારું આ ભિક્ષાપાત્ર ભરવાની સામગ્રીની ખોટ નથી. હું ધનવાનોને ઘેરથી ભિક્ષા માગી આવીને ગરીબોને ખવરાવીશ, એ પ્રમાણે પીડાતા લોકોને અન્નની ખોટ પૂરી પડશે.”

આનંદ સ્વામી હર્ષઘેલા થઈને પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા. બાલિકાને આશીર્વાદ આપીને એ બોલ્યા: “મા !