પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

१३–विशाखा मिगारमाता

બૌદ્ધધર્મના ગ્રંથમાં જે સાધ્વી સન્નારીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં વિશાખાનું સ્થાન ઘણું ઊંચું છે.

શ્રાવસ્તીથી સાત યોજનના અંતરે સાકેત નામનું એક મોટું શહેર વસેલું હતું. તે શહેર વસાવનાર ધનંજય શ્રેષ્ઠીની ગણતરી એ સમયે નવકોટિનારાયણોમાં થતી હતી. વિશાખા એ કરોડાધિપતિ શેઠની એક અત્યંત સ્વરૂપવતી કન્યા હતી. તે વયમાં આવી ત્યારે શ્રાવસ્તીના મિગાર શ્રેષ્ઠીના પૂર્ણવર્ધન નામના પુત્ર સાથે તેનો વિવાહ નક્કી થયો. સાકેત અને શ્રાવસ્તી એ બેઉ શહેરોમાં ઉભય પક્ષે વિવાહ સમારંભ ભારે ઠાઠથી ઊજવ્યો.

વિવાહવિધિ પૂરો થયા બાદ ધનંજય શ્રેષ્ઠી પોતાની કન્યાને લઇ શ્રાવસ્તી આવ્યો. ત્યાં તેણે પોતાની જ્ઞાતિમાંના આઠ કુલીન ગૃહસ્થોને બોલાવી આણી તેમને વેવાઈ સમક્ષ એમ કહ્યું કે, “જો મારી પુત્રીનો કોઈ દોષ જણાઈ આવે, તો તમારે બરાબર ચોકસાઈ રાખવી.”

ધનંજય શ્રેષ્ઠી પુત્રીને સાસરે મૂકી સાકેત ગયા પછી એક દિવસ મિગાર શ્રેષ્ઠીએ નિર્ગ્રંથ શ્રમણો (નાગા સંન્યાસી)ને પોતાને ઘેર પુત્રના લગ્ન સમારંભ નિમિત્ત ભોજનાર્થે આમંત્રણ આપ્યું. મિગાર શેઠ નિર્ગ્રંથનો ઉપાસક હતો. તેમને માટે તેણે પાણી નાખ્યા વિના ચોખ્ખા દૂધનીજ ખીર કરાવી હતી. નિર્ગ્રંથ આવી પોતપોતાને આસને બેઠા. પછી મિગાર શ્રેષ્ઠીએ પોતે આદરાતિથ્ય કરી તેમને સંતોષપૂર્વક જમાડ્યા અને તેમનું ભોજન પૂર્ણ થયા પછી પોતાની પુત્રવધૂને કહાવ્યું કે, “આપણે ઘેર અર્હંત આવ્યા છે. તેમને નમસ્કાર કરવા આવવું.”

‘અર્હંત’ એ શબ્દ કાને પડતાંજ વિશાખાને ઘણો આનંદ