કે ઘરમાં કોઈ તકરાર વગેરે થઈ હોય, તેની વાત બહાર કહેવી
નહિ. બહારની આગ અંદર આણવી નહિ, આ બીજો નિયમ.
આનો અર્થ એવો છે કે, આડોશીપાડોશી સાસુસસરાના કે
જેઠાણી, દેરાણી કે નણંદના અવગુણ બોલતા હોય, તો તે
સમાચાર કોઈને ઘરમાં કહેવા નહિ. આપનારનેજ આપવું એ ત્રીજો
નિયમ; અને ન આપનારને ન આપવું એ ચોથો નિયમ. આનો
અર્થ એ કે જે કોઈ ઘરમાંની વસ્તુ ઉછીની લઈ જઈ પાછી આપે
તેનેજ આપવી, જે આપતો નથી તેને તે ન આપવી. આપનાર કે
ન આપનાર હોય તોયે આપવી એ પાંચમો નિયમ પાસેનાં સગાંસંબંધીને
લાગુ પડે છે. એટલે પોતાના સંબંધમાં કોઈ દરિદ્રી
હોય અને ઉછીની લીધેલી જણસ પાછી આપવાનું સામર્થ્ય
તેનામાં ન હોય, તો તેને તે આપવી. સુખેથી બેસવું એ છઠ્ઠો
નિયમ, સુખેથી જમવું એ સાતમો નિયમ અને સુખેથી સૂવું એ
આઠમો નિયમ. આનો અર્થ એ કે વડીલ માણસો જે ઠેકાણે
વારંવાર આવજા કરે તે ઠેકાણે બેસવું નહિ; તેમના જમ્યા પહેલાં
પોતે જમવું નહિ; નોકરચાકરોની ખબર કાઢીને પછી જમવું;
વડીલ માણસોના સૂતા પહેલાં પોતે સૂવું નહિ, તેમની વ્યવસ્થા
કરીને પછી સૂવું. અગ્નિની પૂજા કરવી એ નવમો નિયમ. પતિવ્રતા
સ્ત્રીને પતિ અગ્નિ સમાન પૂજ્ય હોવો જોઈએ અને બ્રાહ્મણ
જેમ અગ્નિની પરિચર્યા કરે છે, તેમ તેણે પોતાના પતિની કરવી,
એ આ નિયમનો અર્થ છે. ગૃહદેવતાની પૂજા કરવી એ દસમો નિયમ,
એટલે સાસુસસરા ઇત્યાદિ વડીલ માણસોને ગૃહદેવતા સમજી
તેમની સેવા કરવી.”
વિશાખાએ પોતાના પિતાએ બતાવેલા દસ નિયમની આ પ્રમાણે સમજણ આપવાથી તે આઠ કુલીન ગૃહસ્થાએ તેની ઘણી પ્રશંસા કરી અને મિગાર શ્રેષ્ઠીને કહ્યું કે, “આપ ગુસ્સે થઈને આ ડાહી છોકરીને ઘરમાંથી કાઢી મૂકવા તૈયાર થયા છો; પણ એ તમારા ગૃહની લક્ષ્મીજ છે એમ સમજો.”
મિગારે પોતાની ભૂલ કબૂલ કરી અને વિશાખાની ક્ષમા માગી.
વિશાખા બોલી: “આપ વડીલજ છો; એટલે ક્ષમા કરવા જેટલો મોટો અપરાધ આપે કર્યો છે એમ હું ધારતી નથી; પરંતુ માત્ર એક વાતમાં મારે અને તમારે મેળ ખાય એમ લાગતું નથી. હું છું બુદ્ધની ઉપાસિકા અને આપે છો નિર્ગ્રંથના ઉપાસક, એટલે