પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૧

નરક–નિવાસ:



પ્રેતો : થંભી જા; થંભી જા; ધિ:કાર છે તને ઓ બ્રાહ્મણ ! અમે તો ઘોર પાપી છીએ. પરંતુ રે પુરોહિત ! તારી જોડી તે જમલોકમાં યે જડે નહિ. તારે એકલાને માટે નોખી જ નરક કાં ન સરજાઇ ?

દેવદૂત : મહારાજ, નિરર્થક આ નરકમાં રોકાઈને વિના પાપે પાપીની વેદના શાને સહી રહ્યા છો ? પધારો વિમાનમાં, બંધ કરો આ ભયંકર વાતો.

સોમક : વિમાનને લઇ જાઓ, દેવદૂત ! મારી ગતિ તો રે બ્રાહ્મણ ! આંહી નરકમાં, તારી સાથે જ. ક્ષત્રીના મદમાં મત્ત બનીને, મારા પોતાના કર્તવ્યની ત્રુટીને ટાળવા ખાતર મારા નિરપરાધી બાળકને મેં-પિતાએ–અગ્નિમાં હોમ્યો ! મારા નિંદકોને મારું શૂરાતન બતાવવા ખાતર મેં માનવધર્મને, રાજધર્મને, રે! મારા પિતૃધર્મને બાળી ખાખ કીધો. જીવ્યો ત્યાં સુધી તો એ પાપની જવાળામાં સળગતો રહ્યો - હજુયે, હજુયે, એ જ્વાળા હૈયાને નિરંતર દઝાડી રહી છે. હાય રે બેટા ! અગ્નિને તેં બાપનું દીધેલું રમકડું માન્યું; બાપને ભરોસે તેં બે હાથ લંબાવ્યા; ત્યાર પછી એ ભડકાની અંદર અકસ્માત તારી આંખોમાંથી કેવો ઠપકો, કેવી તાજજુબી ને કેવો ભય ભભૂકી ઊઠેલાં !

હે નરક ! તારા અગ્નિમાં એવો તાપ કયાં છે, જે મારા અંતરના તાપની તોલે આવે ? હું સ્વર્ગે જાઉં ? ના, ના ! મારાં પાપ દેવતા ભૂલી શકે; પણ મારાથી શે ભુલાય એ બાલકની છેલ્લી નજર, એ છેલ્લું અભિ-