પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાંચમી આવૃત્તિ વેળાએ

ઓગણીસ વર્ષો સુધી અવિરત ચાલતી આવેલી મારી ગ્રંથસ્થ સાહિત્યપ્રવૃત્તિના શ્રી ગણેશ આ 'કુરબાનીની કથાઓ'થી થયા હતા, એ યાદ કરીને હું એક અકથ્ય ઊંડી ઊર્મિનો ઝંકાર અનુભવું છું.

એની હસ્તપ્રત ભેળી લઈને જ હું ૧૯૨૧માં અાંહીં નોકરીએ રહેવા આવ્યો હતો અને સૈારાષ્ટ્રના જૂના ધૂડીઆ કાર્યાલયના ચોગાનમાં બેસીને શ્રી. શેઠ એ હસ્તપ્રત માંહેથી 'ફૂલનું મૂલ' મોટા લલકાર કરીને વાંચતા હતા તે મને યાદ છે, આ મારું સૌ પહેલું પુસ્તક હતું એટલું જ કહેવું બસ નથી. આ પુસ્તકે જ મારા માટે ગુજરાતી વાચકજગતમાં અજવાળું કરી આપ્યું હતું એ ગુણ હું કેમ ભૂલી શકું ?

નાનપણની પ્રથમ પાપા પગલીઓ માંડ્યાનો આનંદ આ દેહ- જીવનમાં ફરી કોઈ વાર યાદ આવી શકતો નથી. એ અનુભવનું સદાય લીલુંછમ રહેતું વરદાન ફક્ત શિલ્પીઓના ભાગ્યમાં જ લખાયું છે. એક પુસ્તકની પાંચમી આવૃત્તિ થવી એ નવાઈ કે અદકાઈ નથી, પણ પહેલી જ કૃતિ વીસ વર્ષ લગી જીવતી રહી ગઈ એ લેખકના અંગત સૌભાગ્યની વસ્તુ છે. આ કૃતિનાં નવેસર પ્રુફ તપાસતાં તપાસતાં મને ઓગણીસ વર્ષો પૂર્વેના એક દિવસની યાદ સુખદુઃખ મિશ્રિત લાગણીનો અનુભવ કરાવી ગઈ છે. આ પુસ્તકનો પ્રત્યેક પાઠ