પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નરક-નિવાસ:



સેમિક : ગુરુદેવ ! આ નરકમાં તમારે નિવાસ !

પુરોહિત : તમારા કુમારને યજ્ઞમાં હોમાવ્યો, એ પાપની આ સજા મળી છે, મહારાજ !

પ્રેતો : કહો, કહો એ કથની, રાજા ! પાપની વાતો સાંભળવા હજુ યે અમારા હૈયાં તલપી ઊઠે છે, માનવીની વાણીમાં જ બોલજો. તમારા કંઠમાં હજુ સુખદુઃખના કમ્પ ઊઠે છે. તમારા સૂરોમાં હજુ માનવીના હૃદયની રાગ- રાગણી રણકે છે. કહો એ કથની.

સોમક : હે છાયાશરીરધારીઓ ! હું વિદેહનો રાજા હતેા. મારું નામ સોમક. કૈં વર્ષો સુધી મેં હવનહોમ કર્યાં, સાધુસંતોને સેવ્યા, વૃદ્ધ થયો ત્યારે મને એક બાળક સાંપડ્યો. એની પ્રીતિના પાસમાં હું પડ્યો. સૂર્ય સદા પૃથ્વીની સામે જ નિહાળતો ફરે તેમ હું યે મારા એ કુમારની સામે જ જોતો રહ્યો. કમળપત્ર જેમ ઝાકળના કણને જાળવીને ઝીલી રાખે, તેમ હું યે મારા એ બાલકને એવા જતનથી જાળવતો હતો. હું રાજ- ધર્મ ચૂક્યો, ક્ષત્રિયધર્મ ચૂક્યો, સર્વ ચૂક્યો. વસુંધરા અપમાન પામી, રાજલક્ષ્મી મારાથી મોં ફેરવી બેઠી. કચેરીમાં એક દિવસ હું કામ કરતો હતો ત્યાં રણવાસમાંથી મેં મારા બાલકની બૂમ સાંભળી. ગાદી છોડીને હું દોડતો અંદર પહોંચ્યો, કામકાજ રખડતાં મેલ્યાં.

પુરોહિત : એ જ સમયે, હું રાજપુરોહિત, હાથમાં ચરણામૃત લઇને દરબારમાં દાખલ થયો. જતાં જતાં રાજાજી