પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નરક–નિવાસ:


પુરોહિત : આનંદથી સભા ચુપચાપ બની, પણ મારા અંતરમાં તો ઝેરની જ્વાળા સળગતી જ રહી. હું બેાલ્યો : 'વધુ પુત્રો જોઈએ છે, રાજા ? એનો ઈલાજ મારી પાસે છે પણ એ તો છે મહાવિકટ કામ. તમારી તાકાત નથી.' ત્યાં તો ગર્વથી રાજા બોલ્યા : 'હું ક્ષત્રીબચ્ચો છું. તમારે ચરણે હાથ મેલીને પ્રતિજ્ઞા કરું છું કે હું એ કામ કરીશ.' એ સાંભળીને હસતે મોંયે મેં કહ્યું: 'સાંભળો ત્યારે, હું યજ્ઞ કરું, ને હે રાજા ! તમે સ્વહસ્તે એમાં તમારા એ કુમારનું બલિદાન દેજો. એ બલિદાનનો ધુમાડો, સુંઘતાં જ રાણીઓને ગર્ભ રહેવાનો.' એ સાંભળીને રાજાએ ચુપચાપ માથું નીચે ઢાળ્યું. સભાજનોએ કકળાટ કરી મેલ્યો, બ્રાહ્મણો એ મને ધિ:કાર દીધો. પરંતુ રાજાએ ધીરે સ્વરે કહ્યું કે 'ક્ષત્રિયનું વચન છે, ગુરુદેવ ! એમ જ કરીશ.'

પછી તો ચોમેર સ્ત્રીઓના વિલાપ ચાલ્યા, પ્રજાજનોના ફિટકાર સંભળાયા, સેના આખી વિફરી બેઠી, તો યે એકલા રાજાજી તો અચળ જ રહ્યા. યજ્ઞનો અગ્નિ ભભૂકી ઊઠ્યો. બલિદાનનો સમય આવી પહોંચ્યો. પણ આસપાસ કેાઈ ન મળે. રણવાસમાંથી કુમારને કોણ લઈ આવે ? નોકરોએ ના પાડી, પ્રધાનો ચુપ રહ્યા, દ્વારપાળેાની અાંખેમાં આંસુ આવ્યાં, ને સેના બધી ચાલી ગઈ.

પણ હું, મોહનાં બંધનોને છેદનારો હું, બધાં શાસ્ત્રોને જાણનારો હું, પ્રીતિનાં બંધનોને મિથ્યા