પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૫
ગૃહલક્ષ્મીનો લાભ

ઉત્તમ મદિરા ભરીને તેનું પોતાના પ્રાણનાથને તેણે અનુરાગસહિત પાન કરાવ્યું. નન્દકુમારીના 'અર્ધાંગનાપદ'ની સાર્થકતા થતાં હર્ષનો અતિરેક થવાથી તે આ સંસારમાં સ્વર્ગસુખની છટાને અનુભવવા લાગી અને ત્યાર પછી ખેંગારજીને સંબોધીને બોલી કે:—

"હૃદયેશ્વર, પ્રાણજીવન, પ્રાણવલ્લભ, અત્યારે તો આ કિંકરીને આપે આનંદના અર્ણવમાં નિમજ્જન કરાવ્યું છે; પરંતુ આવતી કાલે જ્યારે આપ આ અનુરક્તા દાસીને અહીં જ ત્યાગીને પરદેશમાં જવામાટે પ્રયાણ કરી જશો, તે વેળાયે આ વિરહિણી વનિતાની શી અને કેવી દુર્દશા થશે. એનો પણ આપે કાંઈ વિચાર કર્યો છે ખરો કે ? મારી આપનાં ચરણોમાં માત્ર એટલી જ પ્રાર્થના છે કે, આપ મને અહીં છોડીને ક્યાંય ચાલ્યા ન જશો; કિન્તુ આપની સેવામાટે મને જ્યાં જાઓ ત્યાં સાથે જ લઈ જજો.”

પત્નીની આ પ્રાર્થના સાંભળીને ખેંગારજી ગંભીરતાથી કહેવા લાગ્યો કેઃ “હૃદયેશ્વરી હૃદયવલ્લભે, જો કે તારા વિયોગથી મારા હૃદયમાં પણ અસહ્ય વેદના થવાનો સંભવ છે; છતાં પણ અત્યારે તારા આ પ્રસ્તાવને મારાથી સ્વીકાર કરી શકાય તેમ નથી અને એમાટે મને પણ અતિશય શોક થાય છે.”

"તો પછી આપના વિયોગમાં મારાથી કેમ કરીને જીવી શકાશે ?” નન્દકુમારીએ એક વિલક્ષણ પ્રશ્ન ઉપસ્થિત કર્યો.

"પ્રાણેશ્વરી, આ તું શું બોલે છે ? આ અલ્પકાલિક વિયોગનો અંત આવી જશે અને ઈશ્વરની કૃપાથી આપણો પુનઃ સત્વર જ સંયોગ થશે. જે પતિ તથા પત્નીનાં અંત:કરણો એક હોય છે તેમને વિયોગમાં પણ સંયોગનો સાક્ષાત્કાર થાય છે અને જે દંપતીનાં હૃદયો ભિન્ન હેાય છે તેમનો સંયોગ પણ વિયોગ સમાન થઈ પડે છે. અર્થાત્ જો તારો મારામાંનો પ્રેમ અખંડ હશે, તો તારે એમ જ માનવાનું છે કે હું સદાસર્વદા તારી પાસે જ છું; હું પણ તારી પ્રતિમાને મારા હૃદયમાંથી કદાપિ દૂર કરવાનો નથી. રાણીઓ કદાપિ પ્રવાસમાં પોતાના પતિ સાથે જતી નથી અને હું તો વળી અત્યારે મહાવિપત્તિમાં હોવાથી અમદાવાદના સુલ્તાનનો આશ્રય મેળવવામાટે જાઉં છું અને ત્યાંથી સહાયતા મેળવી શત્રુ સાથે યુદ્ધ કરીને મારે મારા પૂર્વજોના ગયેલા રાજ્યને પાછું મેળવવાનું છે એટલે આવા સમયમાં તો તને મારાથી સાથે લેવાય જ નહિ. જ્યારે યોગ્ય અવસર આવશે, તે વેળાયે હું તને મારી પાસે બોલાવીશ. અત્યારે તો ધૈર્ય