પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૯
કાપાલિકની કુટિલતા અને અબળાનો ઉદ્ધાર

આપને મળી જાય તેવો પ્રબંધ કરીશ અને તે ઉપરાંત આપની જે આજ્ઞા છે, તે આજ્ઞા જો હશે, તો તે આજ્ઞાનું પણ યથાર્થ પાલન કરવાને હું તત્પર છું." માધુરીએ કહ્યું,

હવે લફંગો લંગોટો પોતાના પ્રપંચ જાળને વિસ્તારતો આગળ વધીને ગંભીરતાથી કહેવા લાગ્યો કે “માનસમોહિની માધુરી, ધનસંપત્તિ આપવામાં તો તારી ઉદારતા અલૌકિક છે એટલે એ વિશે અધિક બોલવાનું કાંઈ રહેતું જ નથી. પરંતુ જે પ્રત્યવાયના કારણથી મારે તને જે એક બીજી આજ્ઞા સંભળાવવાની છે, તે પ્રત્યવાયનો તારા સમક્ષ યોગ્ય સ્ફોટ કરવાની આવશ્યકતા છે. શાસ્ત્રોનો એ તો એક સર્વસાધારણ સિદ્ધાન્ત છે કે, લક્ષ્મી સ્ત્રીના ભાગ્યની હોય છે અને સંતાનસંપત્તિ પુરુષના ભાગ્યની હોય છે. અર્થાત્ જો પુરુષના ભાગ્યમાં સંતાનસુખ ન જ લખાયલું હોય, તો અનેક પ્રયત્ન કરવા છતાં પણ સ્ત્રીને સંતાનસુખનો સાક્ષાત્કાર થઈ શકતો નથી. જેકોરના મુખથી તારી અભિલાષાને જાણી લીધા પછી મેં સમાધિમાં જોયું તો તારા પતિના ભાગ્યમાં સંતાનસુખ નથી એમ જ મારા જોવામાં આવ્યું છે; છતાં જો સંતાનને મેળવવાની જ તારી ઈચ્છા હોય, તો તેની પ્રાપ્તિનો અન્યપુરુષસમાગમ વિના બીજો કોઈ માર્ગ છે જ નહિ. મહાદેવજીએ મને સ્વપ્નમાં જણાવ્યું છે કેઃ 'વત્સ, તારા ભાગ્યમાં એક સંતાનનો યોગ છે એટલામાટે તું સંસારત્યાગી હોવા છતાં પણ જે સ્ત્રીના સૌન્દર્યમાં તારું મન લુબ્ધ થાય, તે સ્ત્રી સાથે પ્રેમસંબંધ કરીને તે સંતાન તેને આપજે અને સિદ્ધિનાશનો લેશ માત્ર પણ ભય રાખીશ નહિ. મહાદેવજીના એ શબ્દો આજે મને સંપૂર્ણ સિદ્ધ થયેલા દેખાય છે; કારણ કે, તારા આ વિશ્વમોહન સૌન્દર્યને જોઇને આજે પ્રથમ વાર જ મારું મન તારામાં લુબ્ધ થયું છે અને તેથી તારી સાથે પ્રેમસંબંધ કરીને તને સંતાનવતી કરવાના દૃઢ નિશ્ચયપર હું આવી ગયો છું. આ કારણથી મારી એવી આજ્ઞા છે કે, હે ભાગ્યવતી ભદ્રનારી, તું મારા પ્રેમને સ્વીકારી લે, તારા અવતારને સુધારી લે અને આ સુકોમળ શય્યામાં પદાર્પણ કરીને અનુરાગવડે મારા બાહુને તારા કંઠમાં ધારી લે ! મારા જેવો એક બ્રહ્મચારી યોગી તારા લાવણ્યમાં લોભાયો છે, એ તારા મહાભાગ્યનું જ એક ચિહ્ન છે અને આજે આ રાજસી વેશ પણ મેં કેવળ તારા મનોરંજન માટે જ ધાર્યો છે.”

અત્યાર સુધી શાંત, ગંભીર અને લજ્જાશીલ દેખાતી માધુરીના મુખમંડળમાં એ વેશધારી અને દંભમૂર્તિ યોગીના મુખમાંથી નીકળેલા આવાં અયોગ્ય વચનો સાંભળતાં જ અશાંતિ, ક્રોધ તથા તિરસ્કારનાં