પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૩
બન્ધુમિલન અને ગુપ્ત ધનભંડાર


છે તેને બહાર કાઢીને ચિતામાં બાળી નાખવું કે જેથી તેના વધનું કાંઈ ચિહ્ન જ અવશિષ્ટ ન રહે; ત્યાર પછી ભૂગર્ભમાંના તે સ્થાનમાં જે અસ્થિઓનો રાશિ છે, તેમાંનાં અસ્થિઓને ત્યાંથી ખસેડીને ધનભંડારનો શોધ કરવાનો છે; કારણ કે જો તે ધનભંડારમાંથી આપણને સારા પરિમાણમાં ધનસંપત્તિ મળી જશે, તો તેના યોગે અત્યારે આપણે અમદાવાદમાં આડંબરથી રહી શકીશું અને ભવિષ્યમાં જામ રાવળ સાથેના યુદ્ધના સમયમાં પણ એ ધનસંપત્તિ આપણા માટે બહુ જ ઉપયોગિની થઈ પડશે. ભૂત પિશાચ આદિના ભયથી રાત્રિના સમયમાં અહીં કોઈ આવતું નથી એટલે કાપાલિકના શબને નિર્ભયતાથી બાળી નાખવામાં કાંઈ પણ બાધા આવે તેમ નથી અને દૂરથી જે કોઈ ચિતાની જ્વાળા જોશે, તે તો એ જ્વાળાને પિશાચની લીલા માની લેશે એટલે લોકોની આ માન્યતા આપણામાટે તો લાભકારક અને નિર્ભયતાને લાવનારી જ થઈ પડવાનો સંભવ છે."

"કાપાલિકની પર્ણકુટીમાં ખાનપાનની વસ્તુઓ પણ અવશ્ય હોવી જોઈએ અને એટલામાટે મારો એવો વિચાર છે કે અત્યારે આપણે રાંધવાના કાર્યનો આરંભ કરી દઈએ એટલે ભોજન તૈયાર થશે અને આપણે ઉદરપૂજાના કાર્યથી નિવૃત્ત થઈશું તેટલામાં રાતનો પણ કેટલોક સમય વીતી જશે અને ત્યાર પછી કાપાલિકના શબને અગ્નિસંસ્કાર કરવાનો સમય થતાં તે કાર્ય પણ શાંતિથી કરી શકાશે." છચ્છરે પોતાનો અભિપ્રાય દર્શાવ્યો.

છચ્છરના આ અભિપ્રાયને સર્વનું અનુમોદન મળવાથી છચ્છર તથા રણમલ્લે કાપાલિકની પર્ણકુટીમાં પ્રવેશ કર્યો અને શોધ કર્યો, તો ત્યાં ખાનપાનનાં નાનાવિધ સાધનો તેમને મળી આવ્યાં. છચ્છર પાકનિષ્પતિની કળામાં પણ નિપુણ હોવાથી એક પ્રહરથી પણ અલ્પ સમયમાં તેણે ભોજનની સામગ્રીને તૈયાર કરી જૂદા જૂદા પાંચ કે છ ભોજ્ય પદાર્થો બનાવ્યા અને થાળીઓ પીરસી દીધી; કારણ કે, કાપાલિકની પર્ણકુટીમાં કેવળ ત્રાંબા પીતળનાં જ નહિ, પણ સુવર્ણ તથા રૌપ્યકનાં પાત્રોનો પણ સુકાળ હતો. રાજકુમારોને સુવર્ણના થાળમાં ભોજન પીરસવામાં આવ્યું હતું અને છચ્છર, રણમલ્લ તથા રણમલ્લના ભત્રીજાએ ત્રાંબા પીતળનાં પાત્રમાં જ ભોજન લીધું. ખેંગારજી, સાયબજી તથા છચ્છરને કચ્છ છોડ્યા પછી ભોજનને ન્યાય આપવામાં આવો શાંતિમય, નિર્ભયતાયુક્ત તથા આનંદવર્ધક પ્રસંગ મળ્યો જ નહોતો એટલે તેઓ આજના આ વનભોજનથી અત્યંત સંતુષ્ટ થયા. ભોજનકાર્યની સમાપ્તિ પછી કાપાલિકે ધૂણી સળગાવવા માટે