પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
કચ્છનો કાર્તિકેય

જાઓ અને તમારા રાજાને મારો એ છેલ્લામાં છેલ્લો વિચાર કહી સંભળાવો," બેગડાએ પોતાનો અંતિમ વિચાર સ્પષ્ટ શબ્દોમાં કહી સંભળાવ્યો.

બેગડાની એ વિલક્ષણ માગણીને સાંભળી ભૂધરશાહ મહાગંભીર વિચારમાં પડી ગયો અને થોડી વાર થોભી જવા પછી તેણે નમ્રતાથી કહ્યું કે: “ગેતીપનાહ, એમ તે કેમ બની શકે વારુ ? આ કાર્યમાં ધર્મની મહાબાધા આવી પડે છે. આપ મુસલ્માન અને અમારા રાજા આર્ય ક્ષત્રિય, એટલે આપની સાથે તેઓ પોતાની કન્યાનો શરીરસંબંધ કેમ કરીને જોડી શકે, એનો આપ જ વિચાર કરી જુઓ.”

“હિન્દુ અને મુસલ્માનમાં ખરી રીતે જોતાં કશો પણ તફાવત નથી જ. મારા વચનને માન્ય રાખવાથી ભવિષ્યમાં તમને ઘણો જ લાભ થવાનો સંભવ છે. માટે જાઓ અને મારી આ માગણીને પૂરી કરવાની વ્યવસ્થા બનતી ઉતાવળે કરી નાખો,” બેગડાએ દૃઢતાથી કહ્યું.

"હું એમાટેનું આપને નિશ્ચિત વચન આપી શકતો નથી. રાજાને જઈને આપનો આ સંદેશો સંભળાવું છું. આમ કરવું કે ન કરવું, એનો આધાર તેમની ઈચ્છાપર રહેલો છે,” ભૂધરશાહે પોતાનું અસામર્થ્ય વ્યક્ત કર્યું.

“ભલે, હું તમને ત્રણ દિવસની મુદ્દત આપું છું. એટલા સમયમાં તમારા રાજાની જેવી ઈચ્છા હોય તે ઈચ્છા મને જણાવી દેજો, એટલે પછી મારે શું કરવું એના એક નિશ્ચયપર હું આવીશ. પણ દીવાન સાહબ, એ તો તમે જાણો જ છો કે પોતાના રાજાનું ભલું કરવું અને રાજાને હિતકારક માર્ગમાં લઈ જવો, એ જ સારા દીવાનનું પ્રથમ કર્તવ્ય હોય છે; એટલે અત્યારે તમારે તમારા રાજાને ખરા હિતનો માર્ગ બતાવવો જ જોઈએ. મારા સંબંધ અને મૈત્રીભાવમાં તમારા રાજાના કેટલા અને કેવા લાભ સમાયલા છે, એનું ભાન કરાવવું એ કામ તમારું છે. તમે શાણા અને સમજૂ દીવાન છો, એટલે વધારે બોલવું હું વ્યાજબી ધારતો નથી,” એટલું કહીને સુલ્તાન ત્યાંથી ઉઠી નમાજ પઢવા ચાલ્યો.

પ્રધાન ભૂધરશાહ કચ્છરાજ્ય અને પોતાના રાજાની ભાવિ દશા વિષે મનમાં અનેક પ્રકારના અનુકુળ પ્રતિકૂળ વિચાર કરતો ત્યાંથી ઉઠ્યો અને પોતાના અનુચરો સહિત પાછો લાખિયાર વિયરામાં આવી પહોંચ્યો. ત્યાં આવીને તેણે સુલ્તાન સાથે થયેલ બધો સંવાદ જામ હમ્મીરને અથથી ઇતિપર્યન્ત કહી સંભળાવ્યો.

જામ હમ્મીરના મુખમંડળમાં કૃષ્ણતાની છટા દેખાવા લાગી. તે