પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૭
વિપત્તિના મેઘોની એક નવીન ઘટા

જામ હમ્મીરની રખાત રાજબાની પુત્રી કમાબાઈ અમદાવાદના સુલ્તાન મહમ્મદ બેગડાને આપેલી છે અને રાજબાનો પુત્ર અલૈયાજી પણ અમદાવાદમાં પોતાની બહેન પાસે રહે છે, એ તો તમે સારી રીતે જાણો જ છો. અર્થાત્ અલૈયાજીદ્વારા કમાબાઇને અને કમાબાઈદ્વારા સુલ્તાન બેગડાને પોતાના પક્ષમાં લઈ તેની પાસેથી જોઈતી સહાયતા મેળવીને જો ખેંગારજી તથા સાયબજી મારી સાથે યુદ્ધ કરવા માટે આવવાની તૈયારી કરે, તો તે સર્વથા શક્ય છે અને જો તેઓ બેગડાના સૈન્ય સહિત કચ્છરાજ્યપર આક્રમણ કરે, તો આપણામાટે અવશ્ય તેમના પરાજયનું કાર્ય વિચારભરેલું થઈ પડે, એ પણ સર્વથા નિર્વિવાદ છે અને એટલામાટે જ મારું મન આજકાલ આટલું બધું ચિંતામગ્ન, શોકાતુર તથા નિરાશ રહ્યા કરે છે. આ ચિંતાથી મુક્ત થવાનો યોગ્ય ઉપાય જ્યાં સૂધી ન યોજાય, ત્યાં સૂધી ચિંતામુક્ત ન થઈ શકાય, એ સર્વથા નૈસર્ગિક જ છે.”

અહીં જણાવવાની ખાસ અગત્ય છે કે જામ રાવળની એ ગુપ્ત સભામાં કેવળ 'હા જી હા'ના મહામંત્રથી પોતાના જીવનશકટને યથેચ્છ દિશામાં ચલાવનારા અને એ જ મહામંત્રથી મોટા મોટા રાજકર્મચારી તરીકે પ્રકાશમાં આવેલા ખુશામદી ટટ્ટુઓનો જોઈએ તેવો સુકાળ હતો અને તે ખુશામદી ટટ્ટુઓનો કેવળ:–

“ખુશામદહીસે આમદ હય, બડી ઇસલિયે ખુશામદ હય;
મહારાજને કહા એક દિન, બૈંગન બડા બુરા હય.
હમને ઝટ કહ દિયા, તભી તો બેગુન નામ પડા હય;
ખુશામદસે સબ કુછ રદ હય, બડી ઇસલિયે ખુશામદ હય.
મહારાજ કુછ દેરમેં બોલે, બૈંગન તે અચ્છા હય;
હમને ભી ઝટ કહા તભી તો સરપર મુકુટ ધરા હય.
ખુશામદકી ભી કુછ હદ હય, બડી સબસે ખુશામદ હય;
સ્વામી દિનકો રાત કહેં, તો હમ તારે ચમકા દેં.
યદી રાતકો દિન કહેં તો હમ સુરજ ભી દિખલા દેં;
ખુશામદમેં ઇતના મદ હય, બડી ઈસલિયે ખુશામદ હય !*"[૧]

આ જ અષ્ટૌપ્રહરનો ધર્મ અને નિત્યપાઠ હોવાથી તેઓ જામ રાવળના વિચારો જે પક્ષમાં જાય, તે જ પક્ષના પ્રતિપાદક થઈ જતા હતા. પોતાના એ મહાધર્મ ખુશામદને અનુસરીને જામ રાવળના એ ઉદ્‌ગારો નીકળતાં જ તેના એ ઉદ્‌ગારોને પુષ્ટિ તથા અનુમોદન

  1. *આ ગાયન નવી આલ્ફ્રેડ નાટક મંડળીના પંડિત રાધેશ્યામ કવિરત્નકૃત 'વીર અભિમન્યુ' નાટકમાંથી લેવામાં આવ્યું છે.