પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૫
'રાઓ' પદવી અને સાધનપ્રાપ્તિ

"વીર રાજપુત્રો ખેંગારજી અને સાયબજી, આ બહાદુરોને શોભાવનાર તલ્વાર અને કટાર તથા પોશાક આદિ હું પ્રસન્નતાથી તમને આપું છું તેનો સ્વીકાર કરો. મારી એવી ઇચ્છા છે કે, જ્યારે તમે કચ્છના રાજસિંહાસનપર વિરાજો એટલે કે ખેંગારજી, જયારે તમારો રાજ્યાભિષેક થાય, તે વેળાયે તમો આ પોશાક અને આ હથિયાર ધારણ કરજો અને સાયબજીને પણ આ પોશાક તથા હથિયારથી શ્રૃંગારીને તમારી જમણી બાજુએ બેસાડજો. વળી આજના આ યાદગાર દરબારમાં હું તમને 'રાવ'ની પદવી આપું છું એટલે કચ્છ રાજ્યનાં સત્તાસૂત્રોને હસ્તમાં ધારણ કર્યા પછી તમે 'જામ'ને બદલે 'રાવ'ની પદવી જ ધારજો; કારણ કે, એ પદવીથી ભવિષ્યમાં મારા તથા તમારા રાજત્વકાળનો જે ઇતિહાસ લખાશે, તેમાં તમારા મારા શિરપરના આજના ઉપકારની ઘટનાનો ઉલ્લેખ થશે અને તમારી સાથે મારા નામનો ઉલ્લેખ થતાં મને સદાને માટે એક પ્રકારના ગૌરવની પ્રાપ્તિ થશે, એવી મારી માન્યતા છે. અસ્તુ:" એમ કહીને સુલ્તાને પોતાના સિપાહસાલાર અથવા સેનાધ્યક્ષને સંબોધીને કહેવા માંડ્યું કે: "મારા તજરૂબાકાર અને જંગબહાદુર સિપાહસાલાર, મારું તમને એ ફર્માન છે કે અત્યારે આપણી સલ્તનતમાં સર્વત્ર શાંતિ હોવાથી તમો આવતી કાલથી આપણા વિશાળ સૈન્યમાંના પદસંચારી તથા અશ્વારોહી બાર હાજાર સૈનિકાને તૈયાર થવાની આજ્ઞા આપો અને તેઓ ચાર દિવસમાં અહીંથી પ્રયાણ કરવાને તૈયાર થઈ જાય, એવી વ્યવસ્થા કરો; કારણ કે, તમારે આ વીર રાજકુમારો સાથે કચ્છમાં તે સૈન્ય સહિત જવાનું છે અને જામ રાવળ સાથે યુદ્ધ કરી એમને એમની સલ્તનત પાછી અપાવવાની છે. મને આશા છે કે આ યુદ્ધમાં તમે સંપૂર્ણ શૌર્ય બતાવશો અને સુલ્તાન બેગડાની ઇજ્જતમાં દાગ નહિ જ લાગવા દ્યો." એ પછી સુલ્તાને ખજાનચીને આજ્ઞા આપી કે: "જ્યારે ખેંગારજી તથા સાયબજી અહીંથી પ્રયાણ કરે, તે વેળાયે આપણા ખજાનામાંથી એમને એક લાખ સોનામોહોરો ગણી આપજો અને ત્યાર પછી પણ જો એમનો કોઈ માણસ એમની ચિઠ્ઠી લઇને વધારે નાણાં લેવામાટે આવે, તો મને પૂછ્યા વિના જ જે કાંઇ જોઈએ તે આપજો. નાણાંની આ રકમ એમના ખાતે લખી રાખજો; કારણ કે, એ રકમ વ્યવહારે આપવાની છે, પરંતુ ખાતામાં એવો શેરો મારી રાખજો કે એ નાણાં જ્યારે એઓ પોતે પાછાં મોકલે ત્યારે જ લેવાનાં છે અને એમની પાસેથી કે એમના વંશજો પાસેથી આપણે અથવા આપણા વંશજોએ ઉઘરાણી કરવાની નથી. વળી 'રાવ' પદવીના