પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૩
કેટલાંક વિઘ્નો

જાતિના કાળા જોશીની ગાયને મારી નાખી એટલે તે જોશીનો ભાણેજ રૂધો જોશી રાવશ્રી ખેંગારજીનો શુભેચ્છક અને મળતિયો હોવાથી તેણે કાળાને એટલે કે પોતાના મામાને ઊંધું ચતું સમજાવીને મોરબીના દરવાજા ઊઘડાવી દીધા. મોરબીના દરવાજા ઉઘડતાં જ ખેંગારજીએ મોરબીમાં પ્રવેશ કરી નવ્વાબખાન ઘોરીને મારી નાખીને મોરબીપર પોતાનો કબ્જો કરી લીધો. એ બીજા વિઘ્નનું પણ અલ્પ પરિશ્રમથી નિવારણ થઈ ગયું. મોરબીમાં અલૈયાજી પણ ખેંગારજીને પોતાથી અપાય તેટલી બીજી સહાયતા આપવાના ઉદ્દેશથી આવી મળ્યો.

*  *  *  *  * 

મોરબીમાં સ્થિર થયા પછી ખેંગારજીના મનમાં એવો વિચાર થવા લાગ્યો કે: “મોરબીમાં રહીને કચ્છમાં જામ રાવળ સામે લઢવા જવું, એ અત્યંત કઠિન કાર્ય છે; કારણ કે, એક તો અંતર અધિક છે અને વળી વચ્ચે રણ પડે છે એટલે ચોમાસામાં તો બહુધા કચ્છમાં જઈ જ ન શકાય અને જવાય, તો ૫ણ બહુ દુ:ખ વેઠવાં પડે; એટલામાટે જો સાપરમાં થાણું રાખવાની સગવડ થઈ જાય, તો વધારે સારુ.” આવા વિચારથી ખેંગારજીએ પોતાના ઓરમાન ભાઈ અલૈયાજીને તથા હોથી નોંધણજીને સાપરના દેદાવંશના અબડા જામ પાસે શિષ્ટતામાટે મોકલ્યા. અબડા જામે તેમની વાર્તાને સાંભળી લઈને કહ્યું કે:“આજની રાત તમો અહીં રહી જાઓ એટલે હું વિચાર કરીને આવતી કાલે આનો જવાબ આપીશ.” તેઓ તેના વચનમાં વિશ્વાસ રાખીને તેના અતિથિ તરીકે ત્યાં રહ્યા; પરંતુ અબડો જામ જામ રાવળનો મિત્ર તથા પક્ષપાતી હેવાથી રાતે જ પોતાના વચનમાં વિશ્વાસ રાખી અતિથિ તરીકે પોતાના ઘરમાં રહેલા અલૈયાજીનો તે ચાંડાલે વિશ્વાસઘાતકતાથી ઘાત કરાવી નાખ્યો. અબડાની આ વિશ્વાસઘાતકવાના અને અલૈયાજીના ઘાતના સમાચાર હોથી નોધણજીએ મોરબીમાં આવીને ખેંગારજીને સંભળાવતાં જ ખેંગારજીનો ક્રોધ અનિવાર્ય થયો અને તે એક પળ માત્રનો પણ વિલંબ ન કરતાં સૈન્ય સહિત સાપર૫ર ચઢી ગયો. અબડા જામમાં ખેંગારજી સાથે યુદ્ધના ક્ષેત્રમાં સામી છાતીએ લઢવાની કે ટક્કર ઝીલવાની લેશ માત્ર પણ શક્તિ ન હોવાથી તે પોતાના મુખમાં તૃણ લઈને ખેંગારજી સમક્ષ આવ્યો અને અપરાધની ક્ષમા માગતો તેનાં ચરણોમાં નમી પડ્યો. શુદ્ધ ક્ષત્રિયો શરણાગતનો સંહાર કદાપિ નથી કરતા, એવો પરાપૂર્વને નિયમ હોવાથી ખેંગારજીએ ઉદારતાથી અબડાને તેના ઘોર અપરાધની ક્ષમા આપી દીધી અને તેની સાથે એવો ઠરાવ થયો કે ખેંગારજીએ સાપરમાં રહીને રાવળનાં ગામો મારવાં