રાજ્ય તેને મોંઘા મૂલ્યથી આપવું જોઈએ!' એવા વિચારથી તેણે ખેંગારજી સાથેના યુદ્ધમાટેની તૈયારીઓ કરવા માંડી. ખેંગારજીને જ્યારે તેની એ યુદ્ધવિષયક તૈયારીઓના સમાચાર મળ્યા એટલે પોતાના રાજ્યપ્રાપ્તિરૂપ માર્ગમાં આવેલા આ વિઘ્નને નિવારવામાટેની તથા યુદ્ધમાં વિજયને મેળવવામાટેની તેણે પણ યોગ્ય તૈયારીઓ કરવા માંડી.
જામ રાવળ સાથેના આ યુદ્ધમાં ખેંગારજીના ભાગ્યની અંતિમ પરીક્ષા થવાની હોવાથી જે સૈન્યબળનો અત્યાર સુધી તેણે અત્યંત કરકસરથી વ્યય કર્યા હતો, તે સૈન્યબળનો એ યુદ્ધમાં તેટલી જ ઉદારતા અને તેટલા જ મુક્ત હસ્તથી વ્યય કરવાનો તેમ જ રણભૂમિમાં અલૌકિક વીરતાનું દર્શન કરાવીને ભારતવર્ષના ઇતિહાસમાં પોતાના નામને અમર કરવાનો તેણે પોતાના હ્રદયમાં દૃઢ નિશ્ચય કરી લીધો. ઉભય પક્ષ તરફથી નિયત થયેલ યુદ્ધનો દિવસ આવી લાગતાં ઉભયપક્ષીય સૈન્યો આવીને રણાંગણમાં ઉપસ્થિત થયાં અને પોતપોતાના સ્વામીની આજ્ઞાની પ્રતીક્ષા કરવા લાગ્યાં.
ખેંગારજી પોતાના સૈન્યના અગ્રભાગમાં વીરવેષમાં શાસ્ત્રાસ્ત્ર ધારીને ઊભો હતો અને જામ રાવળ પણ પોતાના સૈન્યના અગ્રભાગમાં તેવા જ સ્વરૂપમાં ઊભેલો દૃષ્ટિગોચર થતો હતો. ખેંગારજીએ જામ રાવળને તિરસ્કારદર્શક સ્વરથી કહ્યું કે: “ક્ષત્રિયકુલકલંક, વિશ્વાસઘાતક અને કુટુંબનાશક નીચ જામ રાવળ, આજે તું શું મોઢું લઈને રણાંગણમાં મારા સમક્ષ શસ્ત્રાસ્ત્ર ધારીને યુદ્ધ કરવા માટે આવ્યો છે, એની કલ્પના કરી શકાતી નથી ! એક ચાંડાલ પણ જે વિશ્વાસઘાતકતા ન કરે, તે વિશ્વાસઘાતકતા ક્ષત્રિય હોવા છતાં તે કરી છે એટલે કે, મારા પિતાશ્રીને તેં વિશ્વાસઘાતથી પોતાના ગૃહમાં બોલાવીને માર્યો છે; અમારા પ્રાણ લેવા માટે પણ તું તારાથી બની શકે તેટલા પ્રયત્ન કરી ચૂક્યો છે અને આજે પાછો અમારી સાથે લડવા આવ્યો છે. પણ નહિ, હવે આ કચ્છદેશનું રાજ્ય તારા ભાગ્યમાં લખાયેલું નથી; કારણ કે, જે પરમાત્માએ આજસુધી જીવસટોસટનાં અનેક સંકટમાંથી અમને બચાવ્યા છે, તે જ પરમાત્મા આજના યુદ્ધમાં પણ વિજય અમને જ અપાવશે અને તારા ભાગમાં પરાજય આવશે, એ નિશ્ચિત છે. હજી પણ જો તારી પ્રાણને રક્ષવાની અને