પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૮
કચ્છનો કાર્તિકેય

સાહેબ કચ્છના મહારાવશ્રી ખેંગારજીના સંબંધી છે અને હવે તો વળી તેમના એક ઉ૫કારના ભારથી પણ દબાયેલા છે એટલે જો તેમની મહારાવશ્રીપર અત્યંત પ્રીતિ હોય, તો તે સ્વાભાવિક જ છે. આજના આ રાજ્યાભિષેકમહોત્સવમાં ઉપસ્થિત થવામાટેનું આમંત્રણ જ્યારે તેમને મળ્યું, ત્યારે અહીં આવવાની તેમની પ્રબળ ઇચ્છા હતી; પરંતુ વૃદ્ધાવસ્થા તથા શિથિલ પ્રકૃતિના કારણથી તેઓ આવી શક્યા નથી અને તેમાટે તેઓ બહુ જ દિલગીર છે. મને તેમણે આ રત્ન, તથા સુવર્ણના અલંકારો, શસ્ત્રાસ્ત્રો, મૂલ્યવાન વસ્ત્રો, પાઘડી અને શાલ ઇત્યાદિ વસ્તુઓની બનેલી 'ખિલત' અથવા ભેટ લઈને એવા સંદેશ સહિત મોકલ્યો છે કે, રાવશ્રીને તખ્ત તથા તાજ મુબારક થાઓ, તેઓ દીર્ધકાળપર્યન્ત નિષ્પક્ષપાત તથા ન્યાય ધર્મથી પ્રજાનું પાલન કરતા રહો, તેમના ગૃહમાં સંતતિ તથા સંપત્તિની વૃદ્ધિ થાઓ અને તેમના યશ તથા વિજયનો વિશ્વમાં સર્વત્ર વિસ્તાર થતો રહે, એવી સુલ્તાન સલામત પરવરદિગારનાં ચરણોમાં નિરંતર પ્રાર્થના કરે છે અને આશા રાખે છે કે રાવશ્રીના એક મોહસિન દોસ્તની આ પ્રાર્થના અથવા બંદગી દરગાહે હકમાં જરૂર કુબૂલ મંજૂર થશે!”

"તથાસ્તુ: તથાસ્તુ !” સર્વ સભાજનોએ એકત્ર ધ્વનિ કર્યો.

એ પછી ભાટ ચારણો તથા કવિજનોએ પોતપોતાની આશીર્વાદાત્મક નાનાવિધ કવિતાના રસનું રાજા તથા પ્રજાને પાન કરાવ્યું અને તેમના એ કાર્યની સમાપ્તિ થતાં વારાંગનાના નૃત્ય તથા ગાનનો આરંભ થયો. અંતે મહાપ્રતાપી રાવશ્રી ખેંગારજીએ પોતે તરુણ છતાં વૃદ્ધ સમાન ગંભીર મુદ્રા તથા ગંભીર વાણીથી સભાજનોને ઉદ્દેશીને બોલવા માંડ્યું કે:–

“મારા આમંત્રિત માન્યવર અતિથિજનો, મારા સ્વામિનિષ્ઠ કર્મચારીઓ, મારા રાજભક્ત પ્રજાજનો અને મારા ઉપકારકો, આજનો આ અત્યંત આનંદદાયક પ્રસંગ મને પ્રાપ્ત થયો છે, એ જો કે વસ્તુતઃ ઈશ્વરની કૃપાનું જ પરિણામ છે, છતાં ઈશ્વર અમુક કાર્યમાં અમુક વ્યક્તિઓને નિમિત્તરૂપે યોજતો હોવાથી તે નિમિત્તરૂ૫ વ્યક્તિઓનો પણ અત્યારે અંતઃકરણપૂર્વક ઉપકાર માનવો એ મારું સર્વથી પ્રથમ અને મુખ્ય કર્ત્તવ્ય છે. મારાપર મારા સંકટના સમયમાં જે જે મનુષ્યોએ ઉપકાર કર્યા છે, તેમાં સર્વથી અગ્રેસર મારા પિતાનો સ્વામિનિષ્ઠ સેવક છચ્છર બૂટો, મિયાણાકુલાવતંસ ભીંયો કક્ક્લ, લુહાણાજાતિરત્ન શિવજીભાઈ, પૂજ્ય ગોરજી માણેકમેરજી, મને અત્યારે રાજતિલક કરનારી આ મારી ધર્મભગિની પાર્વતીબાઈ, ધ્રાંગધરાના આ ઉદારાત્મા