પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૦
કચ્છનો કાર્તિકેય

સર્વનું અનિષ્ટ થશે!' એમ માનીને તેને કોઈએ ગામમાં પેસવા દીધો નહિ. માત્ર પરમારવંશની તેની એક જ રાણી તેની પાસે જઇને રહી હતી અને તેનાથી જે સંતતિ ઉત્પન્ન થઈ તેવડે જ ઝાલાવંશ આગળ ચાલ્યો હતો.*[૧].

**** *

એ તો આગળ જણાવેલું જ છે કે, રાવશ્રી ખેંગારજીને ભોજરાજજી તથા ભારમલ્લજી નામક બે કુમાર હતા. એમાંના ભોજરાજજી નામક મોટા કુમારને એક વાર રાયધર હાલાના સહાયક તરીકે રાયધર આમર સામે લડવામાટે મોકલેલો, ત્યાં રાયધર આમરે પોતાનો પરાજય સ્વીકારી ભોજરાજજીનાં ચરણોમાં તલ્વાર મૂકી તેના વર્ચસ્વને શિરસાવંદ્ય કર્યું હતું; પરંતુ એટલામાં સૈનિકો વચ્ચે કાંઈ બોલાચાલી થતાં અચાનક બાણો છૂટ્યા અને તેમાંનો એક બાણ ભોજરાજજીને વાગતાં તેના જીવનનો અંત થઈ ગયો. આ વૃત્તાન્ત રાયબજીના જાણવામાં આવતાં તે આમરની પાછળ પડ્યો અને તેના ભયથી આમર સામે કાંઠે પલાયન કરી ગયો.

રાવશ્રી ખેંગારજી ૧ લો જેવો શૂરવીર, ધર્મશીલ, ન્યાયપરાયણ અને પ્રજાવત્સલ હતો; તેવો જ સંયમી, એકપત્નીવ્રતધારી, મિતાહારી, વ્યાયામશીલ અને આસ્તિક હોવાથી બહુધા તેને રોગની બાધા તો થતી જ નહોતી; પરંતુ તે સમય યુદ્ધ, અશાંતિ તથા 'બળિયાના બે ભાગ'નો હોવાથી એક કે બીજી ચિન્તા તેના હૃદયમાંથી દૂર થતી નહોતી; તેવામાં વળી તેના સહાયક સુલ્તાન બેગડાનો તથા કમાબાઈનો સ્વર્ગવાસ થયો હતો, સાયબજી જેવો વીરબંધુ રણાંગણમાં વીરગતિને પામ્યો હતો અને અંતે તેના ઉત્તરાધિકારી યુવરાજ ભોજરાજજીનો પણ તેના દેખતાં સ્વર્ગવાસ થયો હતો. અત્યંત વૃદ્ધાવસ્થામાં આવા આઘાતો ભાગ્યે જ સહન કરી શકાય છે; તો પણ ખેંગારજી બહુ જ વિચારશીલ તથા જ્ઞાની હોવાથી અન્ય આઘાતોને તો ધૈર્યથી સહન કરી ગયો હતો; પણ ભોજરાજજીના મરણનો આધાત અસહ્ય થવાથી સંવત્ ૧૬૪૨ ના જયેષ્ઠ માસમાં લગભગ ૯૦ વર્ષની અવસ્થા ભોગવીને અથવા આજના આયુષ્ય પ્રમાણને જોતાં તો 'શતાયુ' થઈને આ અસાર સંસારનો, પોતાનાં પારિવારિક જનો તથા પ્રજાજનોને રોતાં કકળતાં મૂકીને, સદાને માટે


  1. * આત્મારામ કેશવજી કૃત 'કચ્છ દેશનો ઇતિહાસ' નામક ગ્રન્થમાં એ રાણી પરમાર વંશની કહી છે, પણ 'બૉમ્બે ગેજેટિયર'ના કાઠિયાવાડ' નામક આઠમા ભાગમાં તે રાણીને વાંવના ચોહાણ અથવા ચહુઆણ વંશની કહેલી છે.