પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
કચ્છનો કાર્તિકેય

બીજા સિપાહીઓ પોતાના ઘોડાને ધીમી ચાલથી ચલાવતા ચાલ્યા જતા હતા. થોડી વારમાં જ તેઓ વિંઝાણથી દૂર નીકળી ગયા અને અજાજી તથા તેની રાણી આપત્તિમાંથી હાલ તરત તો મુક્ત થયાં.

ચાંડાલ ચામુંડરાજના ચાલ્યા જવા પછી અજાજી પોતાના અંતઃપુરમાં આવ્યો અને રાણીને ઉદ્દેશીને કહેવા લાગ્યો કેઃ “વાત વંઠી છે, પગીએ પગલું પકડી પાડ્યું છે. જો કે છચ્છરબૂટાને અહીંથી નીકળ્યાને ઘણો વખત થઈ ગયો છે અને તેથી ધારી શકાય છે કે તે બહુ દૂર નીકળી ગયો હશે; તો પણ રાજકુમારોની નિર્ભયતામાટે મારા મનમાં શંકા રહ્યા કરે છે. જો રાજકુમારોના સંબંધમાં કાંઈ પણ અશુભ થશે, તો આપણા કપાળમાં સદાને માટે કલંક લાગી જશે. હવે શું કરવું ને શું નહિ એની મને સૂઝ પડતી નથી.”

"પ્રાણનાથ, આવા સમયમાં સાહસનો જ આશ્રય લેવો જોઈએ. ચામુંડરાજના સિપાહીઓની સંખ્યા વીસ કે પચીસથી વધારે તો નથી જ, માટે આપ પણ છુપી રીતે અહીંથી પોતાના પચાસથી સાઠ હથિયારબંધ માણસોને લઇને રવાના થાઓ અને જો રાજકુમારોને એમના હાથમાં સપડાયલા જુઓ, તો એક વાર ઝપાઝપી કરીને પણ તેમને બચાવજો. પછી આપણા ભાગ્યમાં જે લખાયલું હશે તે થશે.” રાણીએ એક વીર નારીને શોભે તેવો જ ઉપદેશ આપ્યો.

"ધન્ય, રાણી, ધન્ય !! હવે એ માર્ગ વિના બીજો માર્ગ નથી. હું આ ચાલ્યો.” એટલું કહી તરત અજાજીએ પોતાના સિપાહીઓને તૈયાર થવાનો હુકમ આપ્યો અને પોતે પણ શસ્ત્રાસ્ત્ર તથા કવચ ધારણ કરીને અશ્વારૂઢ થયો. લગભગ પોણોસો વીર નરોનું એક નાનકડું સૈન્ય છુપી રીતે વિંઝાણમાંથી બહાર પડીને જંગલમાં એક નદીના તીરપ્રાંતમાં એકત્ર થયું અને ત્યાંથી તેણે ચામુંડરાજ જે દિશામાં ગયો હતો તે દિશામાં વાયુના વેગથી પ્રયાણ કર્યું.

ચામુંડરાજે ધર્મના ઉચ્છેદનો ઝંડો ઉઠાવ્યો હતો અને અજાજીએ ધર્મના રક્ષણનો પોતાના મનમાં નિશ્ચય જમાવ્યો હતો, એટલે હવે આપણે જોવાનું છે કે એ ધર્મ અને પાપના સમરક્ષેત્રમાં જય કોનો થયો અને પરાજય કોના પક્ષમાં ગયો.