પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩
શિવજીનું સાહસ
તૃતીય પરિચ્છેદ
શિવજીનું સાહસ !

"...... What though the field be lost ?
All is not lost; th' unconquerable will,
And study of revenge, immortal hate,
And courage never to submit or yield."Milton.

જામ રાવળે સિંહ સમાન ગર્જના કરીને શિવજીને જ આજ્ઞા કરતાં કહ્યું કે: “શિવજીભાઈ, તમે મારા અત્યંત વિશ્વાસપાત્ર હોવાથી આ ગંજીમાંથી કુમારોને શોધી કાઢવાનું કાર્ય હું તમને જ સોપું છું. સહાયતા માટે જોઈએ તેટલા મનુષ્યોને સાથે લ્યો અને સૂક્ષ્મતાથી શોધ ચલાવો. જો તમારો પ્રયત્ન સફળ થશે, તો નિશ્ચિત માનજો કે તમારા વૈભવ અને માનમાં ઘણો જ વધારો થશે.”

"જેવી મહારાજાની આજ્ઞા. આજ્ઞાનું પાલન કરવાને આ અનુચર કટિબદ્ધ છે.” શિવજીએ ગંભીરતાથી ઉત્તર આપ્યું.

શિવજી પોતે કુલીન લુહાણા વંશનો એક શ્રેષ્ઠ કુળદીપક હતો અને ક્ષત્રિયના સ્વાભાવિક ગુણોનો તેનામાં સંપૂર્ણ પ્રભાવ જોવામાં આવતો હતો. જામ રાવળની ક્રૂરતા અને અન્યાયબુદ્ધિનું અવલોકન કરતાં તેના વિશે શિવજીના મનમાં અત્યંત તિરસ્કાર આવી ગયો હતો અને તેથી પોતાના ક્ષત્રિયધર્મને અનુસરી યદાકદાચિત્ કુમારો ગંજીમાં હોય, તો પણ તેઓ નિરાધાર, દુઃખી અને કપટનો ભોગ થઈ પડેલા હોવાથી જીવના જોખમે પણ તેમને બચાવવાને તેણે પોતાના મનમાં નિશ્ચય કરી રાખ્યો હતો. સારાંશ કે, તેનો એ નિશ્ચય લુહાણાના નામને ઈતિહાસમાં અમર કરી રાખવામાટેનો જ હતો. મનમાં એ ભાવ છતાં તેની બાહ્ય આકૃતિ ભિન્ન હતી. જામ રાવળને પ્રસન્ન રાખવા માટે કૃત્રિમતા ધારણ કરીને તેણે કેટલાક સિપાહીઓને ગંજીઓ ચુંથીને કુમારોનો શોધ ચલાવવા માટેની આજ્ઞા આપી દીધી. પરંતુ એ આજ્ઞા સાંભળીને એક બુઢ્ઢા સિપાહીએ વાંધો બતાવીને કહ્યું કે: “સરદાર, ગંજીઓને એક એક કરીને વીખતાં તો મહિનાઓ નીકળી જશે; માટે "જો બીજી કોઈ પ્રકારથી શોધ ચલાવવામાં આવે તો વધારે સારું.”

"તમારો કેવી રીતે શોધ ચલાવવાનો વિચાર છે વારુ ?” શિવજીએ ગંભીરતાથી સામો પ્રશ્ન કર્યો.

"મારો તો એવો જ વિચાર છે કે, ગંજીઓમાં ચારે તરફથી ભાલા ખોસવા અર્થાત્ ગંજીઓનો વિસ્તાર વધારે ન હોવાથી ભાલાઓની અણીઓ બરાબર મધ્ય ભાગમાં પહોંચી શકશે અને તેથી જો કુમારોને