પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫
શિવજીનું સાહસ

નિસ્તેજ મુખમંડળોમાં પણ પ્રત્યક્ષ દેખાઈ આવતી હતી, એટલે તેમની દયા ખાઈને કહો કે પછી બીજા કોઈ ભાવથી કહો, શિવજીએ તેમને કહ્યું કે:–

“એક ભાલો મારા હાથમાં આપો અને તમે સર્વ વિશ્રાંતિ લેવામાટે ચાલ્યા જાઓ. આ એક ગંજી બાકી છે તે હું જ તપાસી લઈશ.”

સિપાહીઓને તો “જોઈતું'તું ને વૈદ્યે બતાવ્યું” જેવું જ થયું. તરત એક ભાલો શિવજીના હાથમાં આપીને તેઓ સલામ કરી ચાલતા થયા. તેમના જવા પછી ધીમેથી શિવજીએ ગંજીમાં ભાલો ભોક્યો. કુમારો એ જ ગંજીમાં હોવાથી એ ભાલાને ભોકાતો સાંભળીને તેઓ એવા તો નિરાશ થઈ ગયા કે જીવવાની તેમના મનમાં જરા પણ આશા રહી નહિ. હવે હિંમત રાખ્યા વિના બીજો તેમની પાસે કોઈ પણ ઉપાય નહોતો. 'એક વાર મરવું તો છે જ' અને 'આપણું મરણ આ રાવળના નિમિત્તથી જ સૃજાયેલું હશે,' એમ ધારીને તેઓ શાંત તથા સ્વસ્થ થઈને બેસી રહ્યા. શિવજીના ભાલાની અણીએ પ્રથમ ગંજીમાં પ્રવેશ કરીને ખેંગારજીની જંઘામાં પ્રવેશ કર્યો અને તત્કાળ તે લોહીથી ખરડાયલી જ બહાર નીકળી. શિવજીનો એ લોહીથી ખરડાયલી ભાલાની અણીને જોઈને કુમારોના એ ગંજીમાં હોવા વિશેનો નિશ્ચય થઈ ગયો. જો આ વાર્ત્તા તેણે જામ રાવળને જણાવી હોત, તો તે જ ક્ષણે કુમારોના આયુષ્યનો અંત આવી જાત. પરંતુ નહિ, તેના મનમાં કોઈ પુણ્યમયી અદૃશ્ય પ્રેરણા થયેલી હોવાથી સમયસૂચકતાનો ઉપયોગ કરીને તરત વસ્ત્રવતી તે ભાલાની અણી પરના લોહીને તેણે લૂછી નાખ્યું, અને નિર્ભય મુદ્રા ધારણ કરીને તે જામ રાવળ ભણી જવાને ત્યાંથી પાછો વળ્યો. ભીંયો એ સર્વ લીલાને જોતો પાસે જ ઊભેલો હતો, એટલે તેને પોતા પાસે બોલાવીને શિવજીએ કહ્યું કે:—

“ભાઈ કુમારો આ ગંજીમાં છે, એ હવે તો તારાથી નાકબૂલ કરી શકાય તેમ નથી જ; પરંતુ એથી તારે બીવાનું કાંઈ પણ કારણ નથી; કારણ કે, સદ્‌ભાગે મારા વિના બીજા કોઈને કશી પણ જાણ થઈ નથી અને હું કુમારોને મારી નાખવા ઇચ્છતો નથી. હું જામ રાવળને એમ જ કહીશ કે ગંજીમાં કુમારોનો પત્તો નથી અને તેથી કુમારો જ્યાં છે ત્યાં પૂર્વ પ્રમાણે જ નિર્ભય રહેશે.”

કુમારોને આવું અદ્‌ભુત સાહાય્ય મળેલું જોઈને અને તેમને જીવનદાન મળેલું નિહાળીને ભીંયાના મનમાંથી સપ્ત પુત્રોના મરણનો શોક નીકળી ગયો અને સમસ્ત કચ્છ દેશનું રાજ્ય જાણે આજે પોતાનેજ