દે૦: અમે જન્મથી જ જેજે કામ કીધાં હશે તે સરકારના ફાયદા વાસ્તે અને લોકોના કલ્યાણ વાસ્તે હશે, પણ કહેવત છે કે, ગણનો ભાઈ દોષ. આ લોકો આજ અમારી મશકરી કરે છે.
ભીમ૦: તમે ફાયદો અને કલ્યાણ કીધાં ?
દે૦: હા, હા, અમારા જેવાં બીજા કોઈયે પણ નથી કીધાં.
ભીમ૦: ત્યારે હું પુછું તેનો જવાબ આપ્ય.
દે૦: શું કેહે છે ?
ભીમ૦: તમે ખેડુત છો ઘણું અનાજ પકવીને જગતને ફાયદો કીધો ?
દે૦: અમને તું હળખેડુ જેવા જાણે છે ?
ભીમ૦: ત્યારે તમે દેશાવરની મુલકગીરી કરીને લોકોનો ઉપકાર કીધો છે ?
દે૦: ના એ તો કાંઈ નથી કર્યું, પણ અમે કોઈ વખત કાંધાંખત ભરયાં છે ખરાં.
ભીમ૦: ત્યારે તો એમાં લોકોને ફાયદો ખરો દીવાની તુરંગમાં છે, એટલો પણ તમે કાંઈ નવો કીસબ બજાવ્યો છે ?
દે૦: નવા કીસબનું શું જરૂર છે, અશલથી જે કરતા હઇયે, તે કરવું.
ભીમ૦: તે અશલથી તમારો શો ધંધો છે ?
દે૦: અમે અદાલતમાં બેશીને સરકારનું કામ અને લોકોનું કામ બજાવિયે છિયે.
ભીમ૦: હરેક લોકને ટંટામાં નાખવા એ ઉપકારનું કામ છે ?
દે૦: પણ શીધે રસ્તે ચાલે નહીં તેને શિક્ષા કરાવવી એ શું સારૂં કામ નથી ?
ભીમ૦: તેનો તપાસ રાખનારા અમલદાર લોકો નથી ? તમારે શા ઊચાટ છે ?
દે૦: પણ અમલદારને જાહેર કરનાર કોણ ?
ભીમ૦: જેની મરજી.
દે૦: તે હું છું તારે જુવો એ સરકારના ફાયદાનું કામ ખરૂં કે નહીં ?
ભીમ૦: વાહ ! વાહ ! એ તો મોટો ફાયદો. પણ એવું કામ કરવાથી ઘરમાં સુખે બેશી રહેવું અજગરની પેઠે એ સારૂં છે કે નહીં ? અને એથી બીજું સારૂં કામ કાંઈ તમને શુજતું નથી ?
દે૦: અમારે અજગર જેવા થવું નથી.
ભીમ૦: તારૂં અંગરખું ઊતાર.
શાસ્ત્રી: અલ્યા સાંભળતો નથી કે શું ?
ભીમ૦: પાઘડી પણ લાવ્ય.
શાસ્ત્રી: તને જ કહે છે.
દે૦: મને લુટનાર કોણ છે.
ભીમ૦: તે હું છું.