પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૯ ]


હતા. ડિવિઝન નં. ૩ માં લગભગ બધા નાગરિકો જ હતા. આ નાગરિકોની ભરતી મોટે ભાગે મલાયામાં હિંદી સ્વાતંત્ર્ય સંધે કરી હતી,

૧૯૪૨ની ૧૫મી ફેબ્રુઆરીએ સિંગાપુર જાપાનીઓને શરણે થયું. ૧૭ મી ફેબ્રુઆરીએ યુદ્ધકેદીઓની એક મોટી સંખ્યાને સિંગાપુરના ફેરર પાર્કમાં લઈ જવાઈ હતી. મેજર ફ્યુજીવારા નામના એક જાપાની અફસરે યુદ્ધકેદીઓ સામે ભાષણ કર્યું. હિંદી લશ્કરના કેટલાક અફસરો પણ ત્યાં હાજર હતા. એમાંના એક હતા પંજાબ રેજિમેન્ટના કૅ. મોહનસીંઘ. આમાંના કેટલાંક હિંદી અફસરોની બાંય ઉપર 'ફ' અક્ષરવાળો એક બિલ્લો હતો. 'ફ' એટલે ફ્યુજીવારા નામના જાપાની અફસર કે જેમને હિંદી સૈનિકોને જાપાનીઓને પક્ષે લલચાવી લેવાનું કામ જાપાની સરકારે સોંપ્યું હતું. સિંગાપુર પડ્યું તે અગાઉ પણ ઠીકઠીક વખતથી મેજર ફ્યુજીવારા આ કામ કરી રહ્યા હતા. એમના ભાષણ પછી કૅ. મોહનસીંઘનો વારો આવ્યો. એમણે કહ્યું: "આપણે એક આઝાદ હિંદ ફોજની સ્થાપના કરવાના છીએ અને હિંદુસ્તાનની સ્વતંત્રતા માટે આપણે લડવાના છીએ. તમારે બધાએ એમાં જોડાવું જોઈએ.”

સત્તાવાર રીતે આઝાદ હિંદ ફોજનો જન્મ ૧૯૪૨ ની ૧ લી આક્ટોબરે થયો. નીસૂનની યુદ્ધકેદીઓની છાવણીના કમાન્ડર તરીકે કૅ. શાહનવાઝખાને ૨૦૦-૩૦૦ નાના મોટા અફસર-યુદ્ધકેદીઓ સામે ભાષણ કર્યું એમણે કહ્યું કે કૅપ્ટન મોહનસીંગના વડા મથકે મળેલી એક સભામાં એવો ઠરાવ થયો છે કે, આપણા ધર્મો જુદા જુદા હોવા છતાં આપણે સહુ હિંદીઓ છીએ અને આપણે બધાએ હિંદની આઝાદી માટે લડવું જોઈએ આ ઠરાવ યુદ્ધકેદીઓને સમજાવવાનું કૅ. શાહનવાઝે હાજર રહેલા સૌને કહ્યું. તેમણે એ કબૂલ કર્યું. ૧૯૪ર ના જૂનમાં બેંગકોકમાં એક પરિષદ મળેલી. એના પ્રતિનિધિઓમાં