પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૭૧ ]


વર્તમાનપત્રોમાં જણાવવામાં આવ્યું છે તેમ હિંદી સરકારની નીતિ હવેથી માત્ર એવા માણસો ઉપર કામ ચલાવવાની છે કે જેમની ઉપર યુદ્ધ ચલાવવા ઉપરાંત ભયંકર સિતમ ગુજારવાના આરોપો પણ મૂકવામાં આવ્યા હોય. કોઈ પણ મુકદ્દમામાં સજાની પુન:વિચારણા કરનાર અધિકારીએ એ ધ્યાનમાં રાખવાનું છે કે સાબિત થયેલાં કૃત્યો સુધરેલી દુનિયાના વ્યહવાર-નિયમોને કેટલે અંશે ભંગ કરે છે. લેફ૦ ધિલન અને કે૦ સેહગલને ખૂન–કરાવવાના આરોપોમાં નિર્દોષ ઠરાવવામાં આવ્યા છે. જુલમ ગુજારવાનાં બીજાં કૃત્યોના આરોપ એમની ઉપર મૂકવામાં આવ્યા નથી. કે૦ શાહનવાઝ ખાનને ખૂન કરાવવાના આરોપસર ગુનેગાર ઠરાવવામાં આવ્યા છે અને એમની સામે સાબિત થયેલાં કૃત્યો ઘણાં આકરાં છે, છતાં અત્યારના સંજોગોનો ખ્યાલ કરવો જરૂરી મનાયું છે.

'તેથી સરસેનાધિપતિએ સજાની બાબતમાં ત્રણેય આરોપીઓ સાથે એકધારું વર્તન રાખવાનો અને એમને થયેલી જનમટીપની સજા માફ કરવાનો નિર્ણય કર્યો છે. પણ એમને લશ્કરમાંથી રદ કરવાની અને તેમનાં પગાર-ભથ્થાં જપત કરવાની સજા એમણે મંજૂર રાખી છે, કારણ કે પોતાની વફાદારી ફગાવી દઈને રાજ્યસત્તા સામે યુદ્ધ ચલાવવું એ એક સિપાહી માટે ગમે તેવા સંજોગોમાં પણ , એક અતિ ગંભીર ગુનો છે. આ એક એવો સિદ્ધાંત છે કે કાયદેસર રીતે સ્થાપિત થયેલી ભૂતકાળની કે ભવિષ્યની કોઈપણ સરકારના હિત ખાતર એની જાળવણી થવી જરૂરી છે.'