પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૦ ]

હિંદી લશ્કરની જુદી જુદી રેજિમેન્ટના પ્રતિનિધિઓ તેમજ કૅ. મોહનસીંઘ પણ હાજર હતા. પરિષદના પ્રમુખ રાશબિહારી બોઝ જાપાનથી આવેલા એક હિંદી નાગરિક હતા. પરિષદમાં કેટલાક એવા ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા કે દૂર પૂર્વમાંના લશ્કરી અને નાગરિક હિંદીજનોમાંથી કૅ. મોહનસીંઘના સેનાપતિપદ નીચે આઝાદ હિંદ ફોજ ઊભી કરવી અને એ આઝાદ હિંદ ફોજે હિંદની આઝાદી માટે લડવું. બીજા ઠરાવો એવા અર્થના હતા કે હિંદી સ્વાતંત્ર્ય સંઘ તરફથી આ૦ હિં૦ ફો૦ને રંગરૂટો, નાણાં, ખોરાકી, અને કપડાં પૂરાં પડાશે, અને જાપાની સરકાર તરફથી જરૂરી હથિયારો અને દારૂગોળા પૂરાં પડાશે.

હિંદી યુદ્ધકેદીઓને જે સતામણી અને યાતનાઓ વેઠવી પડતી હતી. અને જ્યાંસુધી આ૦હિં૦ ફો૦માં તેઓ નહિ જોડાય ત્યાંસુધી એ તેમને વેઠવી પડશે એવી જાહેરાત કરાઈ હતી, તેમાંથી છટકવા માટે જ તેમનો મોટો ભાગ આ૦ હિં૦ ફો૦ માં જોડાયો હતો. હિંદી યુદ્ધકેદીઓની છાવણીઓમાં લાલચ અને જબરદસ્તીથી તેમને આ૦ હિં૦ ફો૦માં જોડવાના પ્રયત્નો થયા હતા. એની સામે ટકી રહેનારાઓને કેદ છાવણીઓમાં ખસેડવામાં આવતા હતા, દિવસો સુધી તેમને કાંઈ ખોરાક આપવામાં આવતો નહોતો અને જે કાંઈ ખોરાક અપાતો તે ઘણો ખરાબ હતો. તબીબી મદદ તો જરા પણ નહોતી અપાતી. એમને જમીન ઉપર સૂવડાવીને પાંચ ફીટ લાંબી તથા બે ઈંચ જાડી લાકડીથી મારવામાં આવ્યા હતા. તેમની પાસે મજૂરી કરાવવામાં આવી હતી. એમને કોથળાઓ અપાતા અને તેમાં માટી ભરીને એક વાંસડાને બે છેડે લટકાવીને ઉપાડી જવા પડતા હતા, આવી મજૂરી દિવસના બાર કલાક સુધી એમની પાસે કરાવતી. કેટલીક વાર તો એમને ધોકાથી મારવામાં આવતા. કેટલાક સિતમગરોને એમણે કહ્યું કે, 'અમને ગોળીએ દઈ દો.' જવાબમાં એમને