પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬
લીલુડી ધરતી
 

 ‘સ્નાનાદિકર્મ પહેલાં ક્ષૌરકર્મ થવું ઘટે. સારો જોઈને વાણંદ બરકો.’

આ સાંભળીને સંતુને ચીડ ચડી. બોલી : ‘ગોરબાપા ! શાપરમાં કોઈ વાણંદ જીવે છે કે હંધાય ઓલી વાર્તા માંયલા ટપુડાની જાનમાં જઈને કપાઈ મૂવા છે !’

‘વાણંદ તો ઘણા ય પાડાં મૂંડે છે શાપરમાં. પણ ઠુમર જેવા જજમાનના વહવાયા જેવું છોલતાં ન આવડે કોઈને. સાસ્તરમાં કીધું છે વાણંદે વાણંદે ફેર; એક લાખુ દેતાં ન મળે, ને એક તાંબિયાનાં તેર.’ કહીને કામેસરજીએ તુરત બીજી આજ્ઞા પણ આપી દીધી : ‘ધૂળિયે મારગે ધોડાં કરીકરીને સવા શેર ધૂળ પેટમાં ગઈ છે, ને સાદ બેસી ગયો છે. શ્રાદ્ધકર્મ વખતે શાસ્ત્રવચનોના શુદ્ધ ઉચ્ચાર કરવામાં અંતરાય આવશે માટે, શુદ્ધ ધાતુપાત્રમાં સારી પટ શુદ્ધ ઘી મેલીને રાબ બનાવો !’

‘ભામણ કીધાં એટલે ભૂખ્યાંડાંસ !’ સંતુ મન-શું ગણગણી. ‘જાણે છપનિયામાં જ જનમેલાં. ફલાણું ખવડાવો, ને ઢીકણું પાવ ને પૂંછડું પહેરાવો, ને—’

પ્રમાણમાં અર્વાચીન ગણાય એવી સંતુ આ લાલચુ કુળગોર પ્રત્યે ચિડાતી હતી, પણ ઊજમને તો આ બ્રહ્મપુત્ર, પોતાના નાસી ગયેલા પતિના કહેવાતા મૃત્યુની ગતિમુક્તિ કરાવી આપનાર, એને આત્મશાંતિ અર્પનાર સાક્ષાત્‌ દેવ હતા. તેથી જ તો, આ મુક્તિદાતાની આજ્ઞાનુસાર વિવિધ ઉપયોગ માટે વિવિધ પાત્રોમાં વિવિધ પ્રકારનાં પાણી રજૂ કરીને ઊજમ લાજનો ઘૂમટો તાણીને ઊભી રહી કે તુરત નવીન હુકમ છૂટ્યા :

‘પાકા સીધાંનો પ્રબંધ કરો ! દીવી જેવો તાપ થાય એવાં મજાનાં સૂકાં છાણાં લાવો ! સારીપટ ઘી પિયે એવા ગોરડિયા ઘઉંનો લોટ લાવો ! સોનાની વીંટી જેવો પીળો ધરખમ ગોળ ભાંગો ! મજાની લીલી ઝાંય પડે એવું ભરડેલાં મોતી જેવું કણીદાર