પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦
લીલુડી ધરતી
 

 જુવાનીમાં ઘર છોડીને હાલી નીકળ્યો !’

ભૂધર મેરાઈએ પોતાનું સંભારણું રજૂ કર્યું: ‘લૂગડાં શીવડાવાનો શોખીન તો ગામ આખામાં એક દેવશી જ જોયો’તો. મારા સંચા ઉપર ઊભા રઈને કેડિચે કસું ટંકાવે... કેળનું પાંદડું મેલીને ય માંડ માંડ પહેરાય એવી તસતસતી ચોરણી સિવડાવે—’

ફળિયામાં દેવશીનાં સંભારણાં રજૂ થતાં રહ્યાં ને ઘરને ખૂણે આંસુ સારતી બેઠેલી ઊજમ પોતાનું આખું ય લગ્નજીવન જાણે કે ફરી વાર જીવી રહી. દેવશીનાં મિત્રો પોતાની યાદદાસ્ત તાજી કરી કરીને ઊજમની આંખ સામે પતિનું એક સળંગસૂત્ર જીવન વહેણ બતાવી રહ્યા. આ વિયોગિનીની વ્યથિત મનોદશામાં આ વિલક્ષણ અનુભવ બહુ વસમો લાગતો હતો.

દેવશીના પ્રતીક તરીકે તૈયાર કરાયેલ અડદના પૂતળાને ગોબરે અગ્નિદાહ દીધો ને પછી એ મૃતાત્મા પાછળ પિણ્ડદાન દીધું.

લોકધર્મને અનુસરીને ઊજમ આજે સૌભાગ્યનષ્ટા બની. પણ એનો હૃદયધર્મ તો એને અંતરમાં ઊંડે ઊંડેથી કહી જ રહ્યો હતો : ‘તારું સૌભાગ્ય અખંડ છે, તું ચિરસૌભાગ્યવંતી છે.’

*