પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વારસ
૧૬૯
 

 એવામાં મુખી ભવાનદા આવી ચડ્યા. પૂછયું : ‘એલાવ, આ ગોકીરો શેનો છે ?’

માંડણે આખી પરિસ્થિતિ સમજાવી. મુખી પણ સંમત થયા કે ‘આમાં તો અમરગઢવાળા આપણા ગામનું નાક કાપી જાય છે. હાલો, હાદા ઠુમરને જગાડો. હું તમારી ભેગો આવું છું.’

અને આમ આખું હાલરું ઠુમરની ખડકીએ પહોંચ્યું.

ડેલી બહાર થતો દેકારો સાંભળીને હાદા પટેલ જાગી ગયા. મુખી અને માંડણના કહેવાથી એમણે ગોબરને જગાડ્યો.

ઠુમરના ફળિયામાં હકડેઠઠ્ઠ માણસો ભરાઈ ગયાં.

મુખીએ સમજાવ્યું : ‘આ પરગામના રમનારા આવ્યા છે. ગિરનાર ઉપર અંબામાની ટ્રંકે નાળિયેર પુગાડવાની શરત રમવી છે. ગામ આખામાં ગોબર સિવાય બીજા કોઈનું ગજું નથી.’

‘પણ ગોબર તો ઓણ સાલ નાળિયેરને અડતો જ નથી, એનું શું ?’

‘એમ ન હાલે. હવે તો વાત ચડસે ચડી છે. ગામનું નાક રાખવા ય ગોબરે રમવું જોઈએ.’ કહીને મુખીએ હાદા પટેલના હૃદયના મર્મ સ્થાને સ્પર્શ કર્યો.’ આજે દેવશી જીવતો હોત તો ગિરનાર તો શું, ઓસમ ઉપર હેડમ્બાને હીંચકે કે શત્રુંજાને શિખરે નાળિયેર નાખી આવત. પણ હવે ગોબર વિના બીજા કોઈનું ગજુ નથી—’

સાંભળીને હાદા પટેલ વિચારમાં પડી ગયા. ઓસરીમાં લાજના ઘૂમટાની આડશમાંથી આ સંવાદો સાંભળી રહેલાં સંતુ અને ઊજમ પણ દેવશી અને ગોબર વચ્ચેની આ વિલક્ષણ સળંગસૂત્રતાના દોર વિષે વિચાર કરી રહ્યાં.

હાદા પટેલે કહ્યું : ‘ગોબર, થઈ જા સાબદો ! કહી દે, કેટલા ઘાએ અંબામાને આંબીશ’

‘ના બાપુ ! મારું ગજું નહિ. આમાં તો ગાડાંમોઢે નાળિયેરનો