પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાજવાળાં આવ્યા
૨૦૯
 

 અનાથાશ્રમના મુખીએ પરચૂરણ સિક્કા ભરેલી લાકડાની એક સીલબંધ પેટી આ પાણિયારીઓ સમક્ષ ખખડાવી અને મૂંગે મૂંગે જ મદદની યાચના કરી.

અહીં પાણી ભરતાં ભરતાં અનાથને શી રીતે આર્થિક સહાય કરવી એની મૂંઝવણ સહુ પાણિયારીઓ અનુભવી રહી, પણ ત્યાં તો વખતીએ જ સહુ વતી સંભળાવી દીધું :

‘બાપુ ! આંઈ કૂવે આવતાં તમારા સારુ કાવડિયાં ગાંઠ બાંધીને નથી લઈ આવ્યાં તી ઝટ કરતાંક ને છોડી દઈએ.’

‘કાવડિયાં તો ભાયડા માણહનાં ગુંજામાં હોય. બજારે જાવ તો જડશે.’ બીજી એક બટકબોલીએ ઉમેર્યું.

અને ટોળું ગીત ગાતું ગાતું બજાર તરફ વળ્યું ત્યારે પાછળ વખતી પોતાનો અંતિમ વાક્‌પ્રહાર કરવાનું ન ચૂકી :

‘ઘરનાં જણ્યાંવને બચાડાંને ઢીં’કાઢૂંબા જડે ને આ પારકાં પરોતાં સારુ રોકડાં કાવડિયાં ઠારી મેલ્યાં છે ! ગાલાવેલાં ન ભાળ્યાં હોય તો !’

*