પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૨
લીલુડી ધરતી
 

ગ્યા નથી.’

‘તો પછી, કાંઈ જાણતા ન હો તો મૂંગા રહેતા હો તો !’ જેરામે આખી ય ચર્ચાને એક નવો જ વળાંક આપી દીધો. અને રઘાની ચિંતા કરી રહેલા લોકોને એણે અનાથ બાળકોની ચિંતામાં નાખી દીધા.

જેરામ મિસ્ત્રી કેવળ દોરીને બદલે ફૂટપટી વડે કામ કરનાર ‘ભણેલ સુથાર’ હોવાથી આવી આવી બાબતોમાં એની જાણકારી વિશેષ હોઈ શકે, એવી શ્રદ્ધા પણ લોકોને બેસી ગઈ.

‘આ ખેપમાંથી રઘલો પાનસેં હજાર રૂપિયા કાછડીએ ચડાવીને નો આવે તો મારું નામ જેરામ નહિ !’

જેરામને મોઢેથી આવી બેધડક જાહેરાત સાંભળીને તો લોકોને પાકે પાયે ખાતરી થઈ કે રઘો અત્યારે અનાથ બાળકોનું વેચાણ કરવા જ બહારગામ ગયો છે. ‘અંબાભવાની’ના વાયુમંડળમાં જરા અરેરાટી જેવું પણ ફેલાઈ ગયું. એક દયાળુ ખેડુનું દિલ દ્રવી જતાં એનાથી બોલાઈ પણ ગયું :

‘ભૂદેવની વાંહે કોઈ ખાનારું તો છે નહિ ને ઠાલા શું કામે આવાં ન કરવાનાં કામ કરતા હશે ?’

‘તમે જોવા ગયા છો કે વાંહે કોઈ ખાનારું છે નહિ ?’ જેરામે સીધો પ્રશ્ન પૂછ્યો.

‘ભાઈ ! આ નજરે ભાળીએ છીએ ઈ બોલીએ છીએ. ગોર બાપા પંડ્યોપંડ્ય એકલ માણસ છે, ને વાંહે કોઈ રોનારું છે નહિ.’

‘વાંહે કોણ છે ઈની તો હજી ખરે ટાણે ખબર્યું પડશે !’ જેરામે ત્રિકાળજ્ઞાનીની અદાથી આગાહી કરી.

‘ભઈ ! તું મોટો ભણેશરી થયો છે એટલે તને હંધીય ખબર્ય પડે ! અમે થોડા ભગવાન થઈ આવ્યા છીએ કે ગામ આખાની આગલી પાછલી યાદ રાખવા બેહીએ ?’

હૉટલમાલિકની ગેરહાજરીને કારણે સહુથી વધારે ચિંતા તો