ભીડ કરી રહેલાં સંખ્યાબંધ છત્તર જોઈને ગોબરે ટકોર કરી.
‘હજી તો બેચારનો વધારો થાવો બાકી છે.’ સંતુએ કહ્યું.
‘હજી વધારો થાશે ? કોણે માનતા માની છે ?’
‘ગામમાં ઘણા ય દખિયા જીવ છે. આતા પાસે આવીને છાનાછપના દાણા જોવરાવી જાય છે, આંયકણે અસૂરસવારમાં આવીને નળિયેર વધેરી જાય છે, ઘીના દીવા કરી જાય છે—’
‘કોણ ? રઘોબાપો ?’
‘રઘાબાપાની તો હંધી ય માનતા સરખીસમી ફળી ગઈ છે. એને તો હવે ઘીના દીવા સિવાય કાંઈ કરવાપણું નથી રિયું. દર સોમવારે સાંજે ગિરજાપરસાદ દીવો કરી જાય છે.’ સંતુએ કહ્યું. ‘પણ બીજાવે ઘણાં યે તો છાનીછપની માનતાઉં માની રાખી છે.’
‘છાનીછપની ? કોણે ?’
‘ગિધેકાકે માની છે. ને સામેથી ઝમકુકાકીએ ય માની છે–’
‘શેની માનતા ?’ ગોબરને સંતુના રાંધેલા સ્વાદિષ્ટ શાકરોટલા કરતાં ય આ માનતાઓ અંગેની વિગતોમાં વિશેષ રસ પડ્યો.
‘ગિધોકાકો ઘરઘરણું કરવાના વેંતમાં છે.’
‘ઈ તો આજ છ મૈનાથી બીજી કરવાની માથાકૂટમાં પડ્યો છે, ને રોજ ઊઠીને શાપરની ખેપું ઉપર ખેપું કરી રિયો છ—’
‘પણ એમાં કાંઈક વિઘન આવ્યું’તું, એટલે હવે સતીમાને એક છત્તર ને દીવા માન્યા છે—’
‘ભોગ લાગ્યા સતીમાના, કે એણે આવી આવી માનતાઉં પૂરી કરાવવી પડે—’
‘પણ ઝમકુકાકીની માનતા તો વળી ગિધાકાકા કરતાં ય વધારે વિચિત્ર છે—’
‘શું છે ?’ ગોબરે પૂછ્યું. ‘ગિધોકાકો ઝટપટ મસાણ ભેગો થઈ જાય એની માનતા માની છે ?’
‘ના રે, એને મસાણ ભેગા કરવા સારું ઝમકુકાકીને કાંઈ