મંદિરની કાંટ્ય વચાળે મોટી મઘરપાટ છે એમાં કોઈ માણસનું મડરું તરે છે, ને શાપરથી શંકરભાઈ ફોજદાર એનો પંચક્યાસ કરવા ઊપડ્યા છે.’
સમાચાર સાંભળતાં જ મુખીએ ગોબરને તેડાવ્યો ને પોતાની ઘોડી હાજર કરી :
‘જા ઝટ, મારતી ઘોડીએ વાઘેસર પૂગ્ય ઝટ !’
માંડણે કહ્યું : ‘લાશ ફૂલીને ફુગાઈ ગઈ છે.’
‘તો ય ગિધો હશે તો સાવ અજાણ્યો થોડો રે’વાનો હતો ?’ કહીને ગોબર મારતી ઘોડીએ વાઘેસરને પંથે પડ્યો.
અને એવી જ માર માર કરતી ઝડપે એ પાછો પણ આવ્યો ને સમાચાર આપ્યા :
‘લાશ ગિધાની જ છે. મઘરપાટનાં માછલાંએ ડિલે આખે ફોલી ખાધી છે, પણ બાવડે બાંધેલું માદળિયું ઓળખાણું... ગિધાની દાઢીમૂછ ઓળખાણી... શંકરભાઈ ફોજદારે કીધું છ કે ભવાનદાને મોકલ તો લાશનો કબજો સોંપીએ...’
ઘરડે ઘડપણ પણ ભવાનદાએ કહ્યું : ‘ગોબર ! મને ટેકો દે... ઘોડીએ ચડાવ્ય !’
***
છેક રોંઢા ટાણે મુખી ગિધાની લાશને ગાડે ઘાલીને ગામમાં લાવ્યા ત્યારે ઝમકુ ઉપરાંત ઘણાં ય માણસો એ દૃશ્ય જોઈને રડી પડ્યાં. સહુને એક જ કુતૂહલ હતું : ‘ગિધાને કોણે માર્યો ?’
કાસમ પસાયતાએ ને શંકરભાઈ ફોજદારે મળીને આ રહસ્ય ઉકેલવા પ્રયત્ન કર્યો, થોડા દિવસ પહેલાં ગિધાએ વાઘેસરની બાજુના એક ખેડૂત ઉપર જપ્તીનું હુકમનામું બજાવેલું અને બેલીફને લઈને એ હુકમનામાની બજવણી કરવા ગયેલો. એટલી માહિતી ઉપરથી પેલા ખેડૂતને પરહેજ કરવામાં આવ્યો, પણ એ તો લાંબી તપાસને અંતે સાવ નિર્દોષ સાબિત થયો.