પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
લીલુડી ધરતી
 


ઠારીને મોડેથી ઘેર આવ્યા બાદ સગાંવહાલાંઓ સહુ વિદાય થયાં એટલે સાથરે સૂતાં પહેલાં એમણે રાંધણિયા તરફ મોઢું કરીને કહ્યું :

‘વહુ ! વાટકીમાં-થોડુંક ઘી લાવો, ને બે વાટ્યું વણી દિયો. સતીમાને થાનકે દીવો કરી આવું.’

‘આટલા અહૂરા ?’ ગોબરે પૂછ્યું, ‘હું ખેતરે જઈને થાનક દીવો કરી આવું તો ?’

‘નો હાલે.’ પિતાએ કહ્યું. ‘સતીમાની માનતા જેમ થાતી હોય એમ જ થાય. તને એમાં સમજ ન પડે.’

માનતા અને સમજ અને એવાં બહાનાં કાઢીને, અડોશપડોશમાં કોઈને જાણ ન થાય એની સાવચેતી રાખીને હાદા પટેલ ખેતરે પહોંચ્યા.

ખેતરમાં એમને મનગમતું એકાંત મળ્યું. અને એથીય વિશેષ અનુકૂળ એવું મેઘલી રાતનું કાજળઘેરું અંધારું મળ્યું. માતાને થાનકે ઘીનો દીવો પેટાવીને એમણે હૈયાફાટ રૂદન શરૂ કર્યું. આ રુદનમાં માત્ર પરબતને જ નહિ, પણ વર્ષો પહેલાં ગુમ થયેલા મોટા દીકરા દેવશીનો શોક ભળ્યો. ગૃહત્યાગ કરી ગયેલા મોટા દીકરાનો વિયોગ કેટલો વસમો છે એ પણ પિતાને આજે પરબતના મૃત્યુએ જ સમજાવ્યું. આજે એમને એકીસાથે બબ્બે દીકરાઓનાં અવસાનનો આઘાત લાગ્યો. રાતની નીરવતામાં આ બેવડી વેદનાને મુક્ત રુદન માટે વાચા મળી રહી...

થાનક પરની દીપશિખામાં ઘી સિંચાતું રહ્યું, મૃતાત્માને અંજલિ રૂપે આંસુ સિંચાતાં રહ્યાં. ગોરાળુ જમીનમાં આજે થયેલી વાવણી પર વરસાદનાં પાણી સિંચાતાં રહ્યાં. અને વાણી દરમિયાન જ એ પિતરાઈઓ વચ્ચે વવાઈ ગયેલાં વેર-બીજ પણ આ પોચી ધરતીમાં ઊંડે ને ઊંડે ઊતરતાં રહ્યાં. ને વિધિની કોઈક અકળ કરામત વડે કોઈક અદૃષ્ટ વારિ વડે સિંચાતાં રહ્યાં...

*