પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ચેાથું
ટીહા વાગડિયાની ખડકી

બરોબર રોટલા ટાણે ટીહા વાગડિયાની સાંકળ ખખડી.

સામાન્ય રીતે દિવસને સમયે તો ખુલ્લી જ રહેતી આ ખડકી ખરે બપોરે શા માટે વાસવી પડી હશે, ને ચોરને કાંધ મારવા જેવા આ સમયે શા માટે કોઈએ એ ઉઘડાવવા માટે સાંકળ ખખડાવવી પડી હશે એ કુતૂહલ આ લત્તાના રહેવાસીઓ માટે કાંઈ જેવું તેવું નહોતું.

કણબીપાનાં આ રહેવાસીઓના કાન એવા તો સરવા હતા કે ડેલીના આગળા-ઉલાળિયા કે સાંકળ નકૂચા કે ચણિયારાના અવાજ પરથી જ કોના ઘરનું બારણું ઊઘડ્યું કે વસાયું એ પારખી જતાં ગુંદાસરના જ ખીમા લુહારે ગજવેલને ઓઝતનું પાણી પાઈને ઘડેલી વાગડિયાની ખડકીની સાંકળને એનો આગવો કહી શકાય એવો એક વિશિષ્ટ રણકો હતો. એ રણકો અહીનાં સહુ આડોશીપડોશીઓને સુપરિચિત હતો; અત્યારે ખરે મધ્યાહ્ને પુરુષવર્ગ ખેતરે ગયો હોય, સ્ત્રીઓ ભાથ પહોંચાડવા ગઈ હોય અથવા ઘરકામમાં પડી હોય ત્યારે તો પરગામનું કોઈ મહીમહેમાન રોટલો ખાવા આવે તો જ કોઈની સાંકળ ખખડે. છેલ્લા દાયકામાં રોટલે ઘસાઈ ગયેલા ટીહાને ઘેર વળી દુકાળમાં અધિક માસ જેવું કોણ મહેમાન આવી પડ્યું, એ જોવા જાણવા માટે અડખેપડખેનાં બેત્રણ પડોશી બૈરાંઓએ પોતાના ઘરમાંથી ડોકિયાં કર્યા.

ખડકીનાં બંધ બારણાંની સમીપમાં પાણકોરાની પાઘડી કે