પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
લીલુડી ધરતી-૨
 


‘આ તો અમારા કો’ક દશમનનાં જ કામ લાગે છે.’ ભંગીલોકો કકળતા હતા. ‘અમને આંખ્યે ચડાવવાના જ ધંધા... કો’ક દોણાંફોડને વાકે અમે નવાણિયા કુટાઈ ન જાયીં એટલું ધિયાન રાખજો, માબાપ !’

અલબત્ત, ધીરગંભીર ભવાનદાએ આ નવાણિયાંઓને કૂટી તો ન નાખ્યા પણ તેથી તો એમની પોતાની જ દ્વિધામાં ઉમેરો થયો. ગામના ભંગી લોકો નિર્દોષ છે, તો કૂવામાં પૂતળાં નાખ્યાં કાણે ? શું કોઈ સવર્ણનું એ કૃત્ય હશે ? બહારગામનાં કોઈ માણસો આવીને આ તોફાન કરી ગયાં હશે ?

દરમિયાન ગામમાંથી પાણિયારીઓનો કકળાટ ઊઠ્યો. દેરાણીજેઠાણીની વાવમાં પૂતળાં તરતાં જોઈ ને સહુ ખાલી બેડે પાછાં વળવા લાગ્યાં. વખતીએ આ સહુ ગૃહિણીઓની સરદારી લીધી અને ગામનાં ભંગી લોકોનાં છાજિયાં લેવા માંડ્યાં.

ભંગી લોકોએ ભવાનદા સમક્ષ ખોળા પાથર્યા. પોતાના સાત ખોટનાં છોકરાંઓના સમ ખાધા.

માથાભારે માણસો લાકડીઓ લઈને આ ભંગિયાઓને ટીપી નાખવા તૈયાર થયા.

ભંગીવાસમાંથી એકેએક ઝૂંપડું જડમૂળથી ઉખેડી નાખવાની વાત આવી, પણ મુખીએ એ સહુને વાર્યા.

બપોર સુધીમાં તો ઓઝતના પટમાં વીરડા ખોદાઈ ગયા. ગામનો પાણશેરડો અભડાવનારને નસિયત કરવા માટે મુખી પર દબાણ થવા માંડ્યું. આ દુષ્કૃત્ય કરનારાઓને શોધવાનું મુશ્કેલ થઈ પડ્યું.

સારું થયું કે એ ઓઘડભાભો સમસર જ ધૂણી ઊઠ્યો, ને મુખીની મૂંઝવણનો ઉકેલ લાવી દીધો. એણે ધૂણીધફીને જાહેર કર્યું કે મેઘવાળોએ નહિ પણ મેલડીએ જ પાણીશેરડે પૂતળાં નાખ્યાં છે...

તરત રોષનું નિશાન બદલાઈ ગયું. મેઘવાળોને બદલે સંતુ