પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
લીલુડી ધરતી-૨
 


‘ઘરમાં જેટલા મૂછાળા હોય એટલી મૂછ ગણીને સવા સવા પાવલીની કુલેર મેલડીમાની દેરીએ ઝારી આવો.’

ઓઘડભાભાએ એક પછી એક ઉપાયો સૂચવવા માંડ્યા.

‘પંચાઉનો ફાળો કરીને મલીદો ચડાવો.’

‘માને અભડાવનારીને આઠ ગાઉ આઘી મેલી આવો.’

આગલા બે ઉપાયો તો સરળ હતા, પણ આ અંતિમ ઉપાય બહુ અઘરો હતો. એ અળખામણું કામ કરવા આગળ કોણ આવે એ પ્રશ્ન હતો. મુખી સિવાય કોઈની મજાલ નહોતી કે સંતુને ગામ બહાર હાંકી કાઢવા વિષે હરફ પણ ઉચ્ચારી શકે ? અને ભવાનદા જેવા ભદ્રિક માણસને કોઈ વ્યક્તિના પાપ અંગેની પ્રતીતિ ન થાય ત્યાં સુધી આવું પગલું વિચારી પણ શેં શકે ?

તેથી જ તો એ પાપની પ્રતીતિ કરવા માટે વાતો વહેતી મૂકવામાં આવી.

‘કૂવામાં તરતાં મંત્રેલાં પૂતળાં કોઈએ બાર્યથી નાખ્યાં નથી. ઈ તો મેલડીમાના કોપથી એની મેળે જ પ્રગટ્યાં છે—’

‘સંતુનું જ પાપ પૂતળું થઈને પ્રગટ્યું ગણો ને !’

‘ગામમાં હવે એકે ય માણહ જીવતું રિયે તો કે’જો !’

અને ફરી મૂળ સૂચન વધારે આવેશથી ૨જૂ થવા લાગ્યું : ‘મેલડી અભડાવનારીને આઠ ગાઉ આઘી મેલી આવો !’

પણ મુખીને આ આત્યંતિક માર્ગ કેમે ય કર્યો ગળે ઊતરતો નહોતો. એ ભલા જીવ આવી વિષમ પરિસ્થિતિમાં શું કરવું એની મૂંઝવણ અનુભવી રહ્યા હતા ત્યાં જ એમને દરબારની ડેલીએથી છાનું તેડું આવ્યું.

‘ઠકરાણાં બરકે છે.’

*