તેડું મોકલ્યું.
ઠકરાણાંએ અજબ કુનેહથી મુખીને ગામમાંથી ‘પાપ હાંકી કાઢવા’નો પાનો ચડાવ્યો.
હવે ભવાનદા ભારે દ્વિધા અનુભવી રહ્યા. ઠકરાણાંએ નમ્ર સૂચન કર્યા પછી એમને માટે બીજો કોઈ માર્ગ ન રહ્યો.
અને એ દરમિયાન, ગામનો પાણીશેરડો અપવિત્ર થવાથી ઓઝતના પટમાં વીરડા ખોદી ખોદીને પાણી ભરનાર ગૃહિણીઓનો પોકાર પણ ઉત્તરોત્તર વધારે ઉગ્ર બનતો રહ્યો.
‘હવે તો ગામમાંથી પાપ આઘું કરો તો છૂટીએ. વીરડેથી છાલિયે છાલિયે પાણી ભરીને તો હવે હાથ દુઃખવા આવ્યા—’
અજવાળીકાકીએ આ ગૃહિણીઓનું નેતૃત્વ લઈ લીધું અને કાગારોળ કરીને મુખીને મૂંઝવી માર્યા.
આખરે નાછૂકે મુખીએ હાદા પટેલને કહેણ મોકલ્યું :
‘મેલડીના કોપનો નિવાર કરવો છે... હરુભરુ વાત કરીએ તે સારું.’
હાદા પટેલે સામેથી કહેવડાવ્યું :
‘હું મેલડીમાં માનતો નથી; હું સતીમાનો ગોઠિયો છું. એક માણસ બે માને ન પૂજે—’
બેત્રણ દિવસ સુધી તો આમ સામસામા સંદેશાઓ ચાલ્યા.
છેલ્લે છેલ્લે મુખીએ કહ્યું :
‘સંતુને પાપે ગામ આખું હેરાન થાય છે. કાંઈક રસ્તો કાઢો—’
સામેથી જવાબ મળ્યો :
‘સંતુએ કાંઈ પાપ નથી કર્યું.’
મુખીએ કહ્યું : ‘તો એનું પારખું કરવા દિયો.’
‘સતીમાએ એનું પારખું કરી લીધું છે.' હાદા પટેલે ઉત્તર