પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પેટકટારી
૧૪૯
 


આવી છે એવી ધાક બેસી ગઈ.

એક બાજુ, જીવો વિદાય થયા પછી એકલો પડેલો રઘો પોતાના અતીત જીવનની માનસિક પરકમ્મા કરતો કરતો વધારે વ્યગ્રતા અનુભવી રહ્યો; બીજી બાજુ ઓઘડભાભો પોતે ઉતાવળે કરી નાખેલા અનુમાન બદલ લોકોની હાંસી અનુભવી રહ્યો હતો.

‘લ્યો ! ભૂવો ધૂણ્યો ને બોલ્યો કે આ તો અમથી સુતારણ્ય છે, ને નીકળી પડી કો’ક પંજાબણ્ય જેવી છોકરાં પકડનારી !’

‘રતાંધળાં માણહનું ભલું પૂછવું ! આપણને ન સૂઝે એવું એને સૂઝે ને એને ન સૂઝે એવું આપણને સૂઝે !’

‘પણ ઓઘડિયે તો સાવ આંધળે બહેરું જ કૂટી માર્યું ને ?’

આ બધાં નાટકચેટક જોઈને ગિરજાપ્રસાદ ક્યારનો મૂંઝવણ અનુભવી રહ્યો હતો. ગામમાં આવેલી આ અજાણી વૃદ્ધાને જોઈને એને ભય અને કુતૂહલની મિશ્ર લાગણીઓ થતી હતી. આરંભમાં ગામનાં છોકરાંઓ રોટલો−રોટલી આપીને આ નવતર સિનેમા જોવા લાગ્યાં. ત્યારે ગિરજાએ રઘાને પૂછેલું : ‘બાપા, હું દલ્લીમુંબી જોવા જાઉં ?’ એ વેળા તો રઘાએ રોષભરી આંખ કાઢીને જ એને મૂંગો કરી દીધેલો. એ પછી પસાયતાએ આવીને ડોશીને જે મારપીટ કરવા માંડી એથી તો ગિરજો એવો તો ગભરાઈ ગયેલો કે દલ્લીમુંબી જોવાનું નામ પણ નહોતો લેતો, અને એમાં પણ ફોજદાર આવ્યા પછી ડોશીની ઝડતી લેવાવા માંડી એ જોઈને તો ગિરજો થરથર કમ્પી રહ્યો હતો. એવામાં રઘાએ એને કહ્યું :

‘હું જાઉં છું, દીકરા !’

‘ક્યાં ? ક્યાં જાવ છો ?’

‘પરલોકમાં—’

ગિરજો કશું સમજ્યો નહિ અને રડવા લાગ્યો તેથી રઘાએ એને સાંત્વન આપ્યું :