લખાણ પર જાઓ

પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભીતરના ભેદ
૧૫૭
 

 ‘જીવેભાઈએ તો ચોખ્ખું કીધું કે સંતુને ઊની આંચ આવે તો એની જુમ્મેદારી મારે માથે.’

‘એણે તો ઉઘાડેલી કટાર મ્યાન કરાવવા સારુ ગોરમા’રાજનાં બવબવ મનામણાં કરી જોયાં’તાં.’

‘તો પછી હંધુંય સમુંસૂતર ઊતરી ગયા કેડ્યે રહીરહીને ભૂદેવને આ શું સૂઝ્યું ?’

‘ભાઈ ! માણહના મનની માલીપા કોણ જોવા ગ્યું છે ? બાકી કાંઈ ઊંડા કારણ વન્યા માણહ જીવ થોડો કાઢી નાખે ?’

‘ને એમ જીવ કાઢી નાખવો કાંઈ રમત્ય વાત છે ? એનું કહટ તો ઈ કટારી ખાનાર જ જાણે.’

‘કિયે છે કે કટારી ખાતાં તો ખાઈ લીધી પણ પછી લોહીના પાટોડામાં એણે કાંઈ તરફડિયાં માર્યાં છે, તરફડિયાં માર્યાં છે !’

‘આવા કહટ ખમીને ય જેને મરવું ગમ્યું એની ભીતરમાં કેવી અગન ભરી હશે !’

‘કિયે છે કે આ અમથીએ જ રઘાને પેટકટારી ખવરાવી.’

‘એમાં અમથીનો શું વાંક ? ડોહી તો બિચારી બટકું બટકું રોટલો ઉઘરાવીને દલ્લીમુંબી દેખાડતી’તી; ઈનો ને રઘાનો તો હજી મોંમેળાપેય નો’તો થ્યો—’

‘મોંમેળાપ ભલેની ન થ્યો હોય, પણ ડોહીને છેટથી ભાળીને જ રઘો ભડકી ગ્યો—’

‘આમ તો ગામ આખાને ઊભું ધ્રુજાવતો ને તીરને ઘાએ રાખતો ઈ ભડનો દીકરો આ સાડલો પેરનારીથી ભડકી જાય ?’

‘ભાઈ, ઈ જ મોટો ભેદ છે આમાં. ઈ સાડલો પેરનારીના હાથમાં જ રઘાની ચોટલી હતી—’

‘રઘાની ચોટલી ?’

‘હા, રઘાની ચોટલી અમથીના હાથમાં હતી. કિયે છ કે રઘાને માથે તો દેશપરદેશનાં વારન્ટ ભમતાં’તાં, ને એના માથાનું