પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારી આંખનાં રતન
૧૬૩
 

 જગ્યામાં ગયા ને આ વિલક્ષણ અભ્યાગતોને સાદર ભેટ ધરીને ગામમાંથી વિદાય થવાને વિનવ્યા.

પણ આ અજાણ્યા બહુરૂપીની હાજરીથી ગભરાઈ ગયેલા લોકો એમની વિદાય પછી તો વિશેષ ગભરામણ અનુભવી રહ્યા.

‘એલા, ઈ તણ્યે ય મૂર્તિ હતી તો બહુરૂપીની જ કે પછે બીજા કોઈની ?’

‘બીજા કોઈની ? બીજા કોઈની એટલે કોની ?’

‘કિયે છ ઈ તો બહુરૂપીના વેશમાં છૂપી પોલિસના માણહ હતા. સાચી વાત ?’

‘છૂપી પોલિસ ? આપણા ગામમાં કિયો મોટો દલ્લો દાટ્યો છે કે છૂપી પોલિસે ફેરો ખાવો પડે ?’

‘ઈ તો ઈ પોલિસવાળા પંડ્યે જ જાણે, આપણને શું ખબર્ય ? પણ કિયે છ કે વણજારાનો વેશ કાઢીને ઘોડાં વેચવાને બહાને ઠેઠ તખુભા બાપુની ડેલીએ જઈ આવ્યા’તા, ને દરબાર ક્યાં ગ્યા, શું મંદવાડ છે, કેટલાં વરહનો મંદવાડ છે, શું દવાદારૂ કરો છે, કે’દી આરામ થશે ? એવી એવી તો હજાર વાત પૂછી પૂછીને ઠકરાણાંનો તો ઠૈડ કાઢી ગ્યા—’

‘બહુરૂપીનો તો સભાવ જ વાતુડિયો ગણાય. નવરા બેઠા વાતું ન કરે તો બીજું કરે ય શું ?’

‘પણ આ તો ગામમાં રિયા, એટલા દી રોજ ઊઠીને અમથીને ઘેર આંટો મારતા. એવડા ગલઢા આખા ભાયડાવે ઊઠીને ઓલ્યું દલ્લી–મુંબીવાળું સિનેમા ય જોતા, અલકમલકની વાતું કરતા. રઘાબાપા કેમ કરીને દેવ થ્યા, એને શું દખ હતું, તમારી ને રઘાની કેદુકની ઓળખાણ, આ છોકરો આટલાં વરહ કોને ઘેરે ઊછર્યો, તમે આટલાં વરહ ક્યાં હતાં, એવું એવું પૂછી ગ્યા—’

‘તો તો હવે અમથીના જ કોક ઓળખીતા કે નાતીલા—’

‘મને તો આમાં કાંઈક વે’મ જેવું લાગે છે. આ બહુરૂપી