પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારી આંખનાં રતન
૧૬૭
 

બીજી ચિંતા વ્યક્ત કરી.

‘ના, એણે તો એમ કીધું કે દારૂના નશામાં ગોબરને શાદૂળ સમજીને મેં મારી નાખ્યો છે.’

‘દારૂના નશામાં ?’

‘હા. હમણાં મૂળગર બાવો એની જુબાની આપી આવ્યો—’

‘મૂળગરિયે શું કીધું ?’

‘એણે કબૂલ કર્યું કે વાડીના કૂવામાં ટેટો ફૂટ્યો ઈ મોર્ય માંડણિયો મારે ઘેર આવીને અડધા રૂપિયાનો દારૂ પી ગ્યો’તો.’

‘હવે ?’

‘હવે મૂળગરની જુબાની ઉપર માંડણિયો છૂટી જાશે એમ લાગે છે. દારૂના નશામાં ખૂન થઈ ગ્યું, એમ ગણાશે—’

સાંભળીને સમજુબાને વધારે ચિંતા થઈ. ‘માંડણિયો છૂટીને આવશે પછી તો સખણો રે’શે કે નહિ ? કે આવ્યા પછી ય શાદૂળભાનો ખેધો નંઈ મેલે ?’

જીવો કંઈ નજૂમી નહોતો કે ઠકરાણાંએ પૂછેલા આ નાજુક પ્રશ્ન અંગે ભવિષ્યની કશી આગાહી કરી શકે, કેમ કે, અમથીએ તો રઘાની માલિકીના મકાનમાં ગિરજાને લઈને સરેધાર રહેવા માંડ્યું, આંગણે દુઝાણું બાંધ્યું; અને ‘ગાયભેંસના રૂપિયા ક્યાંથી કાઢ્યા ?’ એવી લોકપૃચ્છાના જવાબમાં એણે ધડ દેતુકને સંભળાવી દીધું : ‘કાળા ચોર પાંહેથી રૂપિયા લઈ આવી છું. કાંઈ તમારે ઘેરે તો ખાતર પાડવા નથી આવી ને ?’

અમથી તો ગિરજાને લાલનપાલનથી ઉછેરતી રહી ને વારે વારે આડોસીપાડોસીને મોઢે બોલતી રહી :

‘મારી આંખનાં બે રતન : એક આ મારો ગિરજો, ને બીજો મારો શાદૂળ.’

*